રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠેલી મહિલા કુસ્તીબાજોની અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને કહ્યું કે અત્યાર સુધી તમામ પીડિતોના નિવેદન કેમ નોંધવામાં આવ્યા નથી? એટલું જ નહીં, કોર્ટે પૂછ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવેદન ક્યારે નોંધવામાં આવશે.
આ સાથે કોર્ટે કહ્યું કે આ અરજીનો હેતુ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો હતો. હવે FIR નોંધવામાં આવી છે. આવી સ્થિતિમાં અમે પિટિશન બંધ કરી રહ્યા છીએ. આ સાથે CJI DY ચંદ્રચુડે કહ્યું કે, અરજદારો વધુ રાહત માટે ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે.CJI ચંદ્રચુડે અરજદારના વકીલને પૂછ્યું, હવે તેઓ શું ઈચ્છે છે? તમારી દલીલ એવી હતી કે એફઆઈઆર નોંધવામાં આવી રહી નથી. હવે એફઆઈઆર થઈ ગઈ છે. આ સિવાય અમે ફરિયાદીઓને રક્ષણ આપવાનો આદેશ પણ પસાર કર્યો હતો. આના પર ડીસીપી દિલ્હીએ એફિડેવિટ રજૂ કરીને કહ્યું છે કે તમામને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે અમે આ અરજી બંધ કરીએ છીએ.
23 એપ્રિલથી જંતર-મંતર પર રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી જેમાં બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીનો કેસ નોંધવાના આદેશની માંગણી કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી હતી.જોકે, બાદમાં દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. સગીરની ફરિયાદ પર પ્રથમ એફઆઈઆરમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. બીજી FIRમાં કલમ 345, કલમ 345 (A), કલમ 354 (D) અને કલમ 34 લગાવવામાં આવી છે.