Kutch News/ કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોથી દેશના સીમાડાઓ સુરક્ષિત: હર્ષ સંઘવી

કચ્છના ગામડાઓને સરહદના રક્ષકો ગણાવીને સંઘવીએ જણાવ્યું હતું કે, આ ગામો અને અહીંના ખમીરવંતા બહાદુર ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે…

Gujarat Others

Kutch News: ભારત પાકિસ્તાન સરહદી (India-Pak Border) ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ (Kutch) પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી (Deputy CM)એ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે‌ સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો‌ ખ્યાલ મેળવ્યો હતો.

સંરક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈને ગ્રામજનો‌ સાથે સંવાદ સાધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

“ભારત માતા કી જય”ના નારાઓ સાથે લખપતના પુનરાજપર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઉલ્લાસભેર સ્વાગત

પુનરાજપર ગામની રહેણીકરણી, રીતિરિવાજો અને સામાજિક આર્થિક પરિસ્થિતિથી અવગત થયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

કચ્છના લખપત તાલુકાના પુનરાજપર (Punrajpar Village, Lakhpat) ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦ IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

પુનરાજપર ગામ દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશદ્વાર

પુનરાજપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાત (Gujarat)નું પ્રવેશદ્વાર ગણાવીને નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામ પુનરાજપરનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. પુનરાજપર ગામની ધરતી એ દેશભક્તોની ધરતી છે. ગામની વસતી ભલે ઓછી હોય પણ દુશ્મન સામે લડવાની શક્તિ અપાર છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સરહદી ગામડાઓની સુવિધાઓ જોઈને ઈર્ષ્યા આવે એવી વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે. વિકાસની દ્રષ્ટિએ સરહદ પાર પાકિસ્તાનના ગામડાઓ અને ભારત તરફના ગામડાઓમાં જમીન આસમાનનો ફરક દેખાઈ આવે છે.

કચ્છના ગામડાઓમાં વિકાસ થયો એ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના પ્રયાસોને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સરહદી ગામડાઓમાં પાણી, વીજળી, આરોગ્ય જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

દુશ્મન પારખવાની ક્ષમતાને પેઢી દર પેઢી વારસારૂપે

સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દુશ્મનોના પગલાંઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં અનેક વર્ષોથી છે. દુશ્મન પારખવાની ક્ષમતાને પેઢી દર પેઢી વારસારૂપે આપીને રાષ્ટ્રીય સુરક્ષા (National Security) મજબૂત બનાવવા સંઘવીએ અનુરોધ કર્યો હતો.

પુનરાજપર ગામના નાગરિકોની દેશભક્તિને વંદન કર્યા

કચ્છના ગામડાઓને સરહદના રક્ષકો ગણાવીને અને કચ્છના પુનરાજપર ગામના નાગરિકોની દેશભક્તિને વંદન કરીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છના આ ગામડાઓ અને અહીંના ખમીરવંતા બહાદુર ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે. અસામાજિક પ્રવૃત્તિઓની પોલીસ (Police)ને જાણ કરવા તેમજ દેશ વિરોધી ગતિવિધિઓ અંગે સરકારના આંખ કાન બનવા નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

સરહદી ગામોમાંથી મહત્તમ યુવાનો દેશની સેનામાં જોડાય

આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા (Pradhyumn Sinh Jadeja)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રીને અવગત કરાવીને સરહદી ગામડાંઓની ચિંતા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સરહદી ગામોમાંથી મહત્તમ યુવાનો દેશની સેનામાં જોડાય એવો અનુરોધ ધારાસભ્યે કર્યો હતો.

હર્ષ સંઘવીનું કચ્છીપાઘ પહેરાવીને સ્વાગત

પુનરાજપર ગામ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું “ભારત માતા કી જય”ના નારાઓ સાથે કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છીપાઘ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં પુનરાજપર ગામમાં ગ્રામજનો‌ સાથે ભોજન લઈને ગામની સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ વડીલો, નાગરિકો સાથે સંવાદ કરીને કોઈપણ સમસ્યા હોય તો દિલ ખોલીને વાત કરવા તેમજ સરકાર દ્વારા તેનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યો, અગ્રણી ધવલ આચાર્ય, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં બોઇલર ફાટતા બે કામદારોના મોત

આ પણ વાંચો:કચ્છના અંજારમાં કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ

આ પણ વાંચો:કચ્છના ધોળાવીરામાં ફરી ધરા ધ્રુજી ઉઠી, 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો