પાશ્ચાત્ય સંસ્કૃતિ : વૈશ્વિકીકરણ, એક તરફ ભારત જેવા દેશોની અર્થવ્યવસ્થા માટે વરદાન સાબિત થયું છે, તો બીજી બાજુ, સમય જતાં ઘણા ગંભીર પરિણામો પણ સામે આવ્યા છે, જેને ન તો નકારી કે અવગણી તો ન જ શકાય. પાશ્ચાત્ય સંસ્કૃતિ નું આંધળું અનુકરણ, આધુનિકતાની ભેટ ભારતીય સમાજે સહર્ષ સ્વીકારી છે. તેની રહેણી કરણી અને અને વિચારોમાં પણ બદલાવ આવ્યો છે. પરંતુ મૂળ રૂઢિગત ભારતીય સંસ્કારો હાલમાં પણ ક્યાંક હૈયામાં ધરબાયેલા જોવા મળે છે.
ભારત દેશે પ્રાચીન સમયથી તેની પરંપરાઓ અને સંસ્કૃતિની તાકાતના આધારે વિશ્વ મંચ પર પોતાની વિશેષ ઓળખ બનાવી છે. ભારતીય સમાજમાં સંબંધોનું વિશેષ મહત્વ છે અને જો એમ કહેવામાં આવે કે આ પરસ્પર સંબંધ તેની મૂળભૂત ઓળખ છે. પરંતુ એ સંબંધો પણ હવે પાશ્ચાત્ય સંસ્કૃતિ ના રંગે રંગાવા લાગ્યા છે. અને સંબંધોમાં હુફની ઓટ વર્તાઈ રહી છે.
આપણા મૂળભૂત સામાજિક માળખામાં પરસ્પર અને પારિવારિક સંબંધોનું હંમેશા મહત્વ રહ્યું છે. જયારે પશ્ચિમી દેશોમાં આ પ્રમાણ ન્યૂનતમ રહ્યું છે, જેના કારણે ત્યાં સંબંધો તૂટી જવું એ એક સામાન્ય બાબત છે, જ્યારે હવે ભારતમાં પણ સંબંધો વ્યક્તિગત હિતની સામે પોતાનું વાજબીપણું અને પરસ્પર સંબંધો ગુમાવવા લાગ્યા છે.
જેનું ઉદાહરણ લગ્ન કર્યા વગર સાથે રહેવાનો ટ્રેન્ડ છે, જે મેટ્રો શહેરોમાં વધી રહ્યો છે, જેને આપણે લિવ-ઇન-રિલેશનશિપ કે મૈત્રી કરાર તરીકે જાણીએ છીએ. આ અંતર્ગત, પુરુષો અને સ્ત્રીઓ સાથે રહેતી વખતે તેમનો ખર્ચ ઘરનું ભાડું, ખાવા -પીવાનું વગેરેવહેંચે છે.
પરંતુ આપણો સમાજ, જે રૂઢીચુસ્ત તેમજ પરંપરાગત છે, આવા કોઈ પણ સંબંધને ન્યાયી ઠેરવતો નથી જે લગ્ન પહેલાં સ્ત્રી કે પુરુષને સાથે રહેવા દે છે. અને જો આપણે આવા સંબંધોની અસરોની ચર્ચા કરીએ, તો તે સ્પષ્ટ થઈ જાય છે કે લિવ-ઇન-રિલેશનશિપ જેવા સંબંધો, ખાસ કરીને મહિલાઓ માટે, ખોટનો સોદો સાબિત થાય છે.
આવા સંબંધોને કાયદાનું કે સમાજનું કોઈ ખાસ રક્ષણ પણ મળતું નથી. અને અધુરામાં પુરું આપણો સમાજ આવા સંબંધો ખરાબ નજરે જુવે છે. આપણે એ હકીકતને નકારી શકતા નથી કે આજે પણ મહિલાઓ સામાજિક રીતે અનેક બંધનો અને મર્યાદાઓમાં બંધાયેલી છે. અને લગ્ન કર્યા વગર સાથે રહેવું તેમના માટે ગુનો ગણાય છે. સામાજિક મર્યાદાઓની બાબતને બાજુ પર રાખીને, વ્યક્તિગત દ્રષ્ટિકોણથી જોઈ એ તો પણ તેની ઘણી આડઅસરો છે.
આવા સંબંધો જેને પરિવાર કે સમાજ આમન્યતા નથી આપતું આવા સંબંધો કાયમી બનતા નથી. અને તેના ભંગાણનો ભોગ માત્ર મહિલાઓએ જ સહન કરવો પડે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે એક તો એ છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે, અને બીજું, આવી સ્ત્રી જે તેની સાથે લગ્ન કર્યા વગર પુરુષ સાથે રહે છે, તેને આપનો સમાજ ખરાબ નજરોથી જુવે છે. આવા સંબંધોમાં મહિલાઓને અપેક્ષા મુજબનું સન્માન પણ મળતું નથી. વધુમાં આ અપમાન તેને માનસિક રીતે જ દુ:ખ પહોંચાડે છે.
વધતી જતી ભૌતિકવાદી માનસિકતાને કારણે, લિવ-ઇન-રિલેશનશિપનું ચલણ વધી રહ્યું છે, જેના કારણે લગ્ન અને પરિવાર જેવી જવાબદારીઓ સંબંધિત સંબંધોની પરંપરાગત માન્યતાઓ તૂટી રહી છે.
માત્ર પુરુષો જ નહીં, એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપીને લગ્ન જેવી મોટી અને મહત્ત્વની જવાબદારીઓથી દૂર રહેવા માંગે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં, આવા ખોટા સંબંધોનો શિકાર બનેલી મહિલાઓના હિતોને નકારી શકાય નહીં. આવા સંબંધોની વધતી લોકપ્રિયતા ખાસ કરીને આપણા યુવાનો પર ખરાબ અસર કરી રહી છે, અને જો કાયદા દ્વારા લિવ-ઇન-રિલેશનશિપ હોય તો પણ આપણા સમાજ પર તેની ખરાબ અસર પડી રહી છે. આવા સંબંધો આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો નાશ કરે છે.
રાજસ્થાન હ્યુમન રાઈટ કમિશને તો ત્યાં સુધી કહ્યું છે કે, લિવ ઇનમાં રહેતી એક મહિલા જાતે રખાતની જેમ અપમાનજનક જીવન અપનાવીને સન્માનપૂર્વક પોતાનું જીવન જીવવાના તેના અધિકારનો ત્યાગ કરે છે. પંચે કહ્યું કે કોઈપણ મહિલા રખાત તરીકે જીવન જીવવું યોગ્ય નથી. કમિશને કહ્યું કે આ કાયદામાં મહિલાઓને પુરૂષો દ્વારા અનાદર, ત્રાસ, અપમાન અને કારણ વગર છોડી દેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પંચે એમ પણ કહ્યું છે કે આ પ્રકારના અહંકારભર્યા વર્તન અને પુરુષોના અધિકાર મહિલાઓ અને સમાજ સુધારકો દ્વારા પણ તેનો વિરોધ ન કરવો તે આશ્ચર્યજનક છે.
હાલમાં ગુજરાતના મહાનગરમાં બનેલી ઘટનાઓએ મૈત્રી કરાર એટલે કે live in relationship નામના રૂપકડા ટેગ હેઠળ પ્રેમના નામે બબ્બે સ્ત્રીઓએ મોતની ભેટ આપી છે., બે માસુમને અનાથ બનાવ્યા છે. શું આ સમાજ માટે જોખમી નથી ?
અજય દેસાઈ અને સ્વીટી સીટી પટેલ કેસમાં સ્વીટી પોતાના અધિકારો માટે લડતી રહી તો હાલમાં જ ગાંધીનગર ખાતેથી મળી આવેલ શિવાંશની માતા હિનાને પણ અધિકાર તો ન મળ્યા પરંતુ મળ્યું મોત તો સાથે માસુમ શિવાંશના માથેથી માતાની છત્રછાયા પણ ગુમ થઈ અને હાલ બાળ સંરક્ષણ ગૃહમાં રહેવું પડી રહ્યું છે.