મહાભારતની વાતો પરથી આપણી એવી માન્યતા છે કે યુધિષ્ઠિર ખુબ જ શાણા, બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવા વાળા હતા. જયારે ભીમ લહેરી માણસ હતો. એક વાત એવી છે કે એક વાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ ભણાવ્યો હતો!
યુધિષ્ઠિર ખુબ જ ઉદાર રાજા હતા. તેઓ દરરોજ રાજયના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા. એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી થોડો મોડો આવ્યો. યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચુક્યા હતા એટલે એમણે એ ગરીબ માણસને બીજે દિવસે – આવતી કાલે આવવા કહ્યું.
એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતાં રોતો હતો. ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે? જયારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતી કાલે આવવા કહ્યું છે ત્યારે ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવવા નક્કી કર્યું.
ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો. લોકો એને પુછવા લાગ્યા કે શું બાબત છે ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે એના મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે! આથી એ એની ઉજવણી કરે છે. લોકોને સમજ ન પડી એટલે એમણે ભીમને વિગતવાર સમજાવવા કહ્યું. ભીમે કહ્યું કે મનુષ્યને હમણા બીજી જ ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી. આપણને એ પણ ખબર નથી કે આવતી કાલે આપણે આ દુનિયામાં હોઈશું કે નહિ! સમય પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પરંતુ મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. એમને ખબર છે કે તેઓ આવતી કાલે જીવિત જ હશે. એટલે જ એમણે આ ગરીબ માણસને આવતી કાલે મળવા બોલાવ્યો છે.
યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી.
આમ ભીમે એના શાણા ભાઈ યુધિષ્ઠિરને એક ખુબ જ અગત્યનો પાઠ ભણાવ્યો કે કોઈ રાજાએ ક્યારેય કોઈ કામ – ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ આવતી કાલ પર ન છોડવું જોઈએ.