મહારાષ્ટ્રનાં ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને પૂરને લગતી વિવિધ ઘટનાઓમાં મહારાષ્ટ્રનાં પૂના, કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની 22 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. રાહત અને બચાવ કામગીરીમાં એરફોર્સ અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે.
ભારે વરસાદ અને પૂરને કારણે હાલમાં સાંગલી, સાતારા નજીક મુંબઇ-બેંગ્લોર હાઇવે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કોલ્હાપુરમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ છે, જ્યારે પૂના જિલ્લાની ત્રણ તહસીલો અને સાંગલી જિલ્લાની પાંચ તહેસિલ બંધ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, એક લાખથી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, 30 હજારથી વધુ લોકો હજી પણ અટવાયેલા છે, જેમને એરલિફ્ટ કરવાની સંભાવનાઓને શોધવામા આવી રહી છે. કોલ્હાપુરમાં પૂરનાં કારણે 204 ગામોને અસર થઈ છે.
જણાવી દઇએ કે, કોલ્હાપુરમાં પૂરનું પાણી કલેક્ટર કચેરીમાં ઘૂસી આવ્યુ હતું અને સાંગલીમાં રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ પણ પાણી પાણી થઇ ગયું હતું. વરસાદને કારણે બંને જિલ્લામાં માર્ગ કનેક્ટિવિટી પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જ્યારે 342 પુલ પૂરનાં પાણીમાં ડૂબી ગયા છે, 29 હાઈવે અને 56 રસ્તા પણ બંધ કરાયા છે. એન-4 અને કોલ્હાપુર-રત્નાગિરિ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જે મુંબઇ-ગોવા હાઇવેનો એક ભાગ છે. ભારે વરસાદને કારણે ઘણા ડેમો પહેલેથી જ જોખમનાં ચિન્હથી ઉપર વહી રહ્યા છે, જ્યારે સાંગલી નજીક ઘણા ડેમનાં દરવાજા ખોલાય તેવી સંભાવનાઓ છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. વાતાવરણમાં આગામી ત્રણ-ચાર દિવસોમાં સતત વરસાદની આગાહી છે. આ તમામ સંજોગો પૂરનાં સંકટને વધારી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
