મહારાષ્ટ્રમાં મહા વિકાસ આગાડીની સરકાર આવ્યા પછી સરકારની સાથે સાથે ઘણું બદલાયું છે. રાજ્યમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસની સરકારની રચના બાદ રાજ્યમાં સરકારી જાહેરાતોમાં પરિવર્તન આવ્યું છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સત્તાવાર જાહેરાતથી ગાયબ થઈ ગઈ છે. ગુરુવારે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પ્રસાદ લાલે આરોપ લગાવ્યો કે વડા પ્રધાનની તસવીર સરકારી જાહેરાતથી હટાવી દેવામાં આવી છે, અને માંગ કરી છે કે ઓછામાં ઓછું સામાન્ય સૌજન્યનું પાલન કરવું જોઈએ.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને એક પત્ર લખીને સુપ્રીમ કોર્ટનાં માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારી જાહેરાતમાં પીએમનો ફોટો હોવો જોઈએ. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે, ભવિષ્યમાં જાહેરાતોનાં પ્રકાશનમાં આની કાળજી લેવી જોઈએ અને પીએમ મોદીની તસવીર લગાવી દેવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવી સરકાર આવી ત્યારથી પીએમ મોદીની તસવીર સરકારી જાહેરાતોમાં છાપવામાં આવી રહી નથી.
મહારાષ્ટ્ર ભાજપનાં ઉપાધ્યક્ષ પ્રસાદ લાલ દ્વારા લખાયેલા પત્રમાં તેમણે પીએમ મોદીની તસવીરને સરકારી જાહેરાતોમાં આગળ પ્રકાશિત કરવાની અપીલ કરી છે, કેમ કે સુપ્રીમ કોર્ટ આ સંદર્ભે નિર્દેશ આપે છે. ભાજપ નેતા અને ધારાસભ્યએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સરકારી જાહેરાતોમાં ફક્ત વડા પ્રધાન અને મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અને મુખ્ય ન્યાયાધીશનાં ફોટોગ્રાફ છાપવા સૂચના આપી છે. તેમણે અપીલ કરી છે કે તેઓ તેમના નેતાઓને નિર્દેશ આપે જેથી ભવિષ્યમાં આવું ન બને. જણાવી દઇએ કે રાજ્યમાં એનસીપી-શિવસેના-કોંગ્રેસની ગઠબંધન સરકાર છે.