ખાવાની વાત આવે તો પહેલા ગુજરાતી લોકોને યાદ કરવામાં આવે છે કારણકે ગુજરાતીઓ અવનવી વાનગીઓ બનાવવામાં એક્સપર્ટ હોય છે. તો આજે અમે તમારા માટે વધુ એક રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય અરવીના પાનના પાત્રા.. જેને તમે નાસ્તામાં પણ બનાવી શકો છો.
સામગ્રી
4 નંગ – અરવીના પાન
1 કપ – ચણાનો લોટ
1/2 ચમચી – હળદર
1 નાની ચમચી – રાઇ
1 ચપટી – હીંગ
1 ચમચી – જીરા પાઉડર
1 નાની ચમચી – ગરમ મસાલો
2 ચમચી – તલ
1/2 ચમચી – લાલ મરચું
2 નાની ચમચી – આદુ-મરચાની પેસ્ટ
2 ચમચી – તેલ
2 મોટી ચમચી – લીંબુનો રસ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
બનાવવાની રીત
સૌ પ્રથમ પાત્રા બનાવવા માટે અરવીના પાનને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પાનના ડીટા ચપ્પુની મદદથી કટ કરી લો. હવે એક બાઉલમાં ગોળ અને પાણી મિક્સ કરીને 30 સેકન્ડ ગરમ કરી લો. હવે એક વાસણમાં ચણાનો લોટ, ધાણાજીરૂ, જીરૂ, ગરમ મસાલો, હીંગ, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, તલ, પાણી અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે અરવીના પાન લો અને તેની પર ચણાના લોટનું ખીરુ લગાવીને ફેલાવી દો. હવે પાનની ઉપર બીજુ એક પાન રાખીને તેની પર ચણાના લોટનું ખીરૂ લગાવી દો અને તેના રોલ બનાવી લો.
આ રીતે જ બીજા પાન સાથે કરો. રોલ કરતા સમયે પાનને ચણાના લોટનું મિશ્રણ લગાવવાનું ભુલશો નહીં. દરેક પાન રોલ થઇ જાય એટલે ઇડલીના કુકરમાં પાણી ઉમેરી તેને જાળી પ્લેટમાં તેલ લગાવી દો અને ધીમી આંચ પર તૈયાર રોલને કુકરમાં 25-30 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી લો. ત્યાર પછી તેને બહાર નીકાળી ઠંડા થવા દો. તૈયાર રોલ ઠંડા થાય એટલે તેને ગોળ સ્લાઇસમાં કટ કરી લો. હવે ઘીમી આંચમાં એક પેનમાં તે ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઇ અને તલ ઉમેરો. રાઇ ચટકે એટલે તેમા કટ કરેલા પાત્રા ઉમેરો. તેની ઉપરથી તમે અડધી ચમચી લાલ મરચું ઉમેરી શકો છો. હવે તેના બરાબર હલાવો. એક મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે અરવીના પાનના સ્વાદિષ્ટ પાત્રા.