જર્મન ફોટોગ્રાફર અંજા બોન્હોફે દુનિયામાં જયાં પણ મહાત્મા ગાંધીના પગલા પડ્યા છે તે જગ્યાઓ શોધી તેના ફોટાઓનો સંગ્રહ કરી `ગાંધી ટ્રેકિંગ` નામનું પુસ્તક બહાર પાડ્યું છે. તેમણે `ગાંધી ટ્રેકિંગ` નામનો આ પ્રોજેક્ટ 2014માં શરૂ કર્યો હતો, જે 2019માં પૂર્ણ થયો હતો. આ દરમિયાન તેમણે ગાંધીજીએ યાત્રા કરેલા દરેક સ્થળોની મુલાકાત લઈ તેની ફોટોગ્રાફી કરી હતી. ગાંધી ટ્રેકિંગ ફોટોગ્રાફિક પ્રોજેક્ટ એ ભારત, આફ્રિકા અને યુરોપના સ્થળોની યાત્રા છે જયાં,ગાંધીજીના ખાનગી અને જાહેર જીવનમાં મહત્વના વળાંકો આવ્યાં હતાં. `ગાંધી ટ્રેકિંગ` ગાંધીજીએ તેમના જીવન દરમિયાન કરેલી મુસાફરીની સફર કરાવે
ગાંધીજીનું જન્મસ્થળ
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર શહેરમાં થયો હતો. તે ચાર બાળકોમાં સૌથી નાના હતા. જે ઘરમાં તેમનો જન્મ થયો હતો, એ પોરબંદરની મધ્યમાં ત્રણ માળની ઇમારતમાં આવેલું છે. કાઠિયાવાડની ભૂતપૂર્વ રજવાડાની સેવા આપવામાં ગાંધીના પિતા કરમચંદ ગાંધી ખૂબ જ જાણીતા હતા. તેમની માતા પુતળીબાઈ ગાંધી એક ધાર્મિક સ્ત્રી હતા, જેને ગાંધી સૌથી નાના બાળક હોવાથી તેની સાથે ગાઢ સંબંધ હતો. ગાંધી એક મોટી છત નીચે બધા સાથે મળીને રહેતા વિશાળ પરિવારની વચ્ચે ઉછર્યા હતા. તેમનું બાળપણ ધાર્મિક વાતાવરણમાં ઘડવામાં આવ્યું હતું.
ઈનર ટેમ્પલ
અઢાર વર્ષની ઉંમરે ગાંધી ભારત છોડી આગળ અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ ગયા હતાં. શરૂઆતી દિવસોમાં લંડનમાં ગાંધીજીને એડજસ્ટ થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક અંગ્રેજીમેન તરીકે રહેવા માટે તેમણે પ્રથમ મહિને લંડન સોસાયટીનો અભ્યાસ કર્યો હતો. આ માટે તેમણે ત્યાં ક્લાસિસ પણ કર્યા હતાં. ગાંધીજીએ ત્યાં રહી પોતાની જાતને અંગ્રેજની સ્ટાઈલમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ બધુ લાંબા સમય સુધી ચાલ્યું નહોતું. આ સિવાય તેઓ ત્યાં શાકાહારી સોસાયટીના સભ્ય બન્યા હતાં. જ્યાં તેમણે પહેલી વાર સંસ્થાકિય અનુભવ મેળવ્યો હતો. આ સાથે જ તે ભગવદ્ ગીતા અને હિન્દુગ્રંથોનો અભ્યાસ કરતાં લોકોને સંપર્કમાં આવ્યાં હતાં અને ભગવદ ગીતા તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બન્યું હતું.
કોચરબ આશ્રમ
25 મે 1915 ના રોજ, ગાંધીએ અમદાવાદ શહેરની નજીક એક નવો `સત્યાગ્રહ આશ્રમ` સ્થાપ્યો હતો, જેને ભારતનો પ્રથમ ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકામાં પ્રેક્ટિસ દરમિયાન સત્ય, કરુણા, અહિંસાના માર્ગ પર ચાલવાનું શિખ્યું અને તેને અહીં સ્થાપિત કરવાના હેતુસર એક સમૃદ્ધ વકીલે તેને કોચરબમાં બંગલાનો ઉપયોગ કરવા દીધો હતો. આ આશ્રમ સ્થાપ્યાના બે વર્ષ બાદ પ્લેગ નામનો રોગચાળો ફાટી નિકળતાં ગાંધીજીએ તેમના આશ્રમને સાબરમતી નદી પર સ્થળાતંરિત કર્યો હતો.
સાબરમતી જેલ
ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન થયેલા આંદોલનમાં જે લોકોએ ભાગ લીધો હતો તેવા હજારો ભારતીય લોકોની બ્રિટીશ સરકારે ધરપકડ કરી હતી. પરંતુ લાંબા સમય સુધી ગાંધીજી આ કાર્યવાહીથી બચી શક્યા હતા. તેઓ આ આંદોલનને ખુબ જ મજબૂત બનાવવા માંગતા હતાં. અસહકાર આંદોલનને પગલે ગાંધીએ શરૂઆતમાં રાજ્યના કાયદાઓ અને વહીવટી આદેશોનો ભંગ કરવાના સાધન તરીકે સવિનય કાનૂનભંગની ચળવળનું આયોજન કર્યું હતુ. બ્રિટીશ રાજ્ય સત્તા સામે વારંવાર લોહિયાળ રમખાણોને કારણે ગાંધીએ આંદલનને વધુ વેગ આપી સરકાર સામે ખુલ્લી હિંસાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે આખરે ગાંધીજીની પણ બ્રિટિશરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 માર્ચ 1922 ના રોજ ગાંધીજીને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને સાબરમતી જેલમાં તબદીલ કરવામાં આવ્યા હતાં.
આગા ખાન મહેલ
બ્રિટિશ સરકારના શાસન દરમિયાન આઝાદીની ચળવળ દરમિયાન આગા ખાન પેલેસને જેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 1942થી 1944 દરમિયાન મહાત્મા ગાંધી, તેમના પત્ની કસ્તુરબા ગાંધી, મહાત્મા ગાંધીના સચિવ, મહાદેવ દેસાઈ અને સરોજીની નાયડુ આ જેલમાં બંધક હતાં. આટલું જ નહીં કસ્તુરબા ગાંધીએ આ મહેલમાં જ પોતાનો દેહ છોડ્યો હતો. તેમની સમાધી પણ આ મહેલમાં છે. આજે આ સ્થળને મહાત્મા ગાંધીની યાદમાં તેમના સ્મારક તરીકે પરિવર્તિત કરવામાં આવ્યું છે. અહીં ગાંધીજીએ જે રુમનો ઉપયગો કર્યો હતો તેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. જયાં ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી તમામ વસ્તુઓનો સંગ્રહ છે.