પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે પીએમ મોદીએ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં રેલીને સંબોધિત કરી. બ્રિગેડ ગ્રાઉન્ડમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ મમતા બેનર્જીની સરકાર અને વિપક્ષ પર નિશાન તાક્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આજ કાલ તો અમારા વિરોધીઓ પણ કહે છે કે હું દોસ્ત માટે કામ કરું છું. હું ગરીબીમાં મોટો થયો એટલે તેમનું દુઃખ દર્દ સારી રીતે જાણું છું. પછી તે ભારતના કોઇપણ ખુણામાં કેમ ન રહેતા હોય, તે અમારા દોસ્ત છે, તેમના દર્દને હું સારી રીતે સમજી શકું છું. એટલા માટે ગરીબ દોસ્તો માટે કામ કરું છું અને હું દોસ્તો માટે કામ કરતો રહીશ.
પીએમએ વધુમાં કહ્યું કે બંગાળના ચાવાળા, અહીંના ટી ગાર્ડન્સમાં કામ કરનારા આપણા ભાઇ-બહેન તો મારા વિશેષ દોસ્ત છે. મારા આવા કામોથી તેમની પણ મુશ્કેલીઓ ઘટી રહી છે. અમારી સરકારના પ્રયાસોથી મારા આ ચાવાળા દોસ્તોને સોસ્શયલ સિક્યોરિટી સ્કીમ્સનો પણ લાભ મળવાનું નક્કી છે.
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી હંમેશા આપત્તિને અવસરમાં ફેરવી નાંખવા માટે જાણીતા છે. તેઓ પોતાની તરફ ફેંકેલા પથ્થરને સીડી બનાવી લે છે. અગાઉ મણિશંકર ઐયરે 2013માં જ્યારે એઆઇસીસીની બેઠક પહેલાં કહ્યું કે 21મી સદીમાં મોદી ક્યારેય પીએમ નહીં બની શકે હાં તેઓ અહીં ચા જરુર વેચી શકે છે. ભાજપે આને સૌથી મોટું હથિયાર બનાવી દીધું. મોદીએ ચા પે ચર્ચા શરુ કરી દધી. પોતે એક ગરીબ પરિવારમાં જન્મ્યા અને રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા એ વાત સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડી. રાફેલને લઇને રાહુલ ગાંધીએ જ્યારે ચોકીદાર ચોર હૈનું સુત્ર વહેતું કર્યું ત્યારે તેની સામે મોદીએ મેં ભી ચોકીદાર હુંનું કેમ્પેઇન ચલાવ્યું. ચૂંટણીમાં તેને સફળતા મળી અને મોદી બીજી ટર્મમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાઇ આવ્યા. હવે રાહુલે મોદીના ખાસ અદાણી અને અંબાણીને લઇને હમ દો હમારે દોનું સુત્ર વહેતું કર્યું છે ત્યારે મોદીએ આજે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પરથી તેનો પણ જવાબ આપી દીધો છે.