થોડા સમય પહેલાં અથવા તો માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પોંડિચેરી એ પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ તેમાં વડાપ્રધાન આંધીની જેમ ફરી વળ્યા હતાં. ભાજપનો પાયો જ નહોતો. છતાં આ તમામ રાજ્યોમાં ભાજપે વડાપ્રધાન મોદીના નામે મત માગ્યા હતાં. પશ્ચિમ બંગાળમાં તો મોદી વર્સિસ મમતા જેવો માહોલ હતો. ૨૦૧૪માં મોદી પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારબાદ જેટલી પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ તેમાં ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય કે પછી પેટા ચૂંટણી હોય તમામ પણ તમામ ચૂંટણીમાં મોદીના નામે મત માંગવામાં આવ્યા હતાં. તેમાં મહદ અંશે સફળતા પણ મળી હતી. પાંચ રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં સત્તા ન મળી પણ તાકાત વધી. જાે કે પેટાચૂંટણીમાં આ તાકાત લગભગ ધોવાઈ ગઈ. તમિલનાડુ અને કેરળમાં ખાતુ જ ન ખૂલ્યું જ્યારે પોંડીચેરીમાં સાથી પક્ષના નેતૃત્વ હેઠળ સત્તા મળી પણ આ બધા મૂળ કોંગ્રેસીઓ છે તેમાં ઓરીજીનલ ભાજપ છે જ નહિ. જ્યારે આસામમાં સત્તા જાળવી શક્યા.
આ પહેલા દિલ્હીમાં ભાજપે આખુ કેન્દ્રીય પ્રધાનમંડળ પ્રચારમાં ઉતાર્યું હતું છતાં સત્તા ન મળી. હા, ૨૦૧૫ની ત્રણમાંથી આઠ બેઠકો થઈ. બિહારમાં મહાગઠબંધનને સત્તા મળી ભલે ભાજપની બેઠકો વધી અને તેની સામે જેડીયુની બેઠકો ઘટી. તેના કારણે બન્ને પક્ષો વચ્ચે જે ખાઈ ઉભી થઈ છે તે યથાવત છે. જ્યારે તાજેતરની પેટાચૂંટણી સમયે મોદી કે અમીત શાહ પ્રચારમાં નહોતા ગયા પરંતુ અન્ય પ્રધાનો તો પ્રચારમાં હતા જ. છતાં બેઠકો મેળવવાને બદલે જળવાઈ પણ નહિ. મધ્યપ્રદેશના ભાજપતરફી પરિણામો અંગે તે વખતે મધ્યપ્રદેશના અખબારોએ સ્પષ્ટપણે નોંધ્યું હતું કે લોકસભાની ખેડવાની બેઠક મળી અને કોંગ્રેસ પાસેથી જે બે બેઠકો આંચકી લેવામાં સફળતા મળી તેના માટે બીજું કોઈ નહિ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની વ્યૂહરચના અને કામગીરી જવાબદાર છે. ઘણા કહે છે તે પ્રમાણે આ બેઠકો જ્યોતિરાદિત્યના ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસે ગુમાવી છે અને ભાજપે મેળવી છે તેવું કહી શકાય તેમ નથી. રાજસ્થાનમાં તો થયેલા ધબડકા પાછળ ભાજપની જુથબંધી જ જવાબદાર છે. ત્યાં પ્રદેશ પ્રમુખ પૂનિયા કરતાં આજની તારીખે પણ વસૂંધરા રાજે વધુ મજબૂત નેતા હોવાનું વધુ એકવાર સાબિત થયું છે તેમાં કોઈ શંકા નથી.
થોડા સમય પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહેલું કે હવે દરેક રાજ્યમાં મોદીના નામે ગમે તેવો ઉમેદવાર ચૂંટાઈ જાય તેવું નથી. મધ્યપ્રદેશના એક ભાજપની આગેવાને પોતાના પક્ષના ધારાસભ્યોને શીખ આપતા કહેલું કે દર વખતે આપણને માત્ર મોદીના નામ પર વિજય મળી શકે નહિ આપણે પ્રજાના કામ પણ કરવા પડશે.
ઉત્તરપ્રદેશમાં ભલે ચૂંટણી જાહેર થઈ નથી પરંતુ વડાપ્રધાન અને ગૃહપ્રધાનના આંટાફેરા શરૂ થઈ ગયા છે. ચાર મહિના પહેલાં ગૃહમંત્રી અમિત શાહે એવું જાહેરમાં કહેલું કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કેન્દ્ર સરકારે ૩૭૦મી કલમની નાબૂદી સહિતની કામગીરી ભાજપને ફળશે. જાેકે છેલ્લા ૨૦ દિવસથી ઝોક બદલાયો છે. પ્રવાહ બદલાયો છે તેમાંથી ૧૧ રાજ્યોની પેટાચૂંટણીના જે પરિણામો આવ્યા બાદ ભાજપના આગેવાનોનો ‘ટોન’ કમ સે કમ ઉત્તરપ્રદેશ પૂરતો બદલાયો છે. ગૃહપ્રધાન અમિત શાહ તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે ૨૦૨૨માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ભાજપ જીતશે તો ૨૦૨૪માં ભાજપની જીતનો રસ્તો ખૂલી જશે. આ પહેલા તેમણે અન્ય એક સભામાં એવું કહેલું કે ૨૦૨૪ની ચૂંટણીમાં મોદીને જીતાડવા હોય તો ૨૦૨૨માં યોગીને જીતાડી સત્તા પર બેસાડવા એ જરૂરી છે.
જયારે ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ભાજપના ઉમેદવારોને પોતાની જીત માટે યોગી પર વધુ આધાર રાખવો પડશે. આ અંગે ઉત્તરપ્રદેશના કેટલાક અખબારોએ પણ એ વાતની નોંધ લીધી છે કે તાજેતરની અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં ભલે મોદી કે શાહ પ્રચારમાં ન ગયા પણ મત તો મોદીના નામે માગવામાં આવ્યા હતાં. છતાં પણ ભાજપને આ પેટાચૂંટણીમાં આંચકો લાગ્યો છે. બીજી વાત એ કહેવામાં આવી રહી છે કે ખેડૂત આંદોલનની પંજાબ અને હરિયાણા બાદ જાે અન્ય કોઈ રાજ્યમાં અસર થઈ હોય તો તે ઉત્તરપ્રદેશ છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના અમૂક ગામોમાં તો ભાજપનો રીતસરનો બહિષ્કાર થયો હોય તેવી સ્થિતિ છે. જ્યારે લખીમપુર ખેરીમાં ખેડૂતને કચડી નાખવાના બનાવ અંગે જવાબદાર મનાતા કેન્દ્રના ગૃહરાજ્યમંત્રીને આ ઉત્તરપ્રદેશ નહિ પણ દેશના ખેડૂત આગેવાનોની માગણી છતાં હટાવાયા નથી. ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે તો ઉત્તરપ્રદેશમાં મોરચો ખોલી દીધો છે અને પાટનગર લખનૌમાં જ ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત કરી દીધી છે. ભૂતકાળમાં યુપી ભાજપના આગેવાનો ખેડૂતોના મતો ગુમાવવા ન પડે તે ખાતર કૃષિ કાયદા પરત ખેંચવાની માગણી કરી ચૂક્યા છે. આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે ખેડૂત આંદોલનનો અને મોંઘવારી સહિતની સમસ્યાઓ સળગેલી છે અને તેની સીધી અસર ભાજપ અને મોદીની લોકપ્રિયતા પર થઈ છે તેવું ભાજપના વર્તુળો ખૂલ્લેઆમ માને છે.
ભાજપના ઘણા કટ્ટરવાદી નેતાઓ માને છે કે મોદીની સિદ્ધીઓ વર્ણવી મત માગવા જતાં મોંઘવારી ખેડૂત આંદોલન ખેડૂતો પર લાઠીચાર્જ સહિતના આક્ષેપોનો સામનો કરવો પડે તેમ છે. આ સંજાેગોમાં કમ સે કમ ઉત્તરપ્રદેશમાં મોદી કરતાં યોગી આદિત્યનાથનું નામ જ વધુ ચાલશે. સંઘે તો પહેલેથી જ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે આગળ રાખી મત માગવાની જરૂરત છે. મુસ્લિમ અને યાદવ મતો સપા, બસપા, કોંગ્રેસ અને હવે વધારાની ‘આપ’ પાર્ટી વચ્ચે વિભાજીત થઈ રહ્યા છે તેવે સમયે હિંદુ મતદારોને સામૂહિક રીતે ભજપ તરફે આકર્ષવા હોય અને હિંદુ મતો ભાજપને જ મળે તેવી ગોઠવણ કરવી હોય તો યોગી આદિત્યનાથની જે હિંદુત્વવાદી નેતા તરીકેની જેછાપ તે વધુ ઉપયોગી બની શકે તેમ છે.
ઉત્તરપ્રદેશના સંઘના એક આગેવાને પણ કહ્યું છે કે સપા, બસપા અને કોંગ્રેસ એ ત્રણેય પોતાની જૂની પ્રચારશૈલીની સાથે સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો પણ ઉમેરી રહ્યા છે. તેવે સમયે આ પક્ષો હિન્દુ મતદારોમાંય મોટો ભાગ પડાવી ન જાય તે માટે પણ મોદીના નામ કરતાં યોગીનું નામ વધુ ઉપયોગી બને તેવું છે.
આમ યુપીની ચૂંટણી યોગીના નામે જીતી ભાજપ સંસદની ચૂંટણીમાં હિંદુત્વના માર્ગે જ જીતવા માગે છે. યુપી પૂરતી વાત સાવ ખોટી નથી. પરંતુ અન્ય રાજ્યોમાં આ એજન્ડા ચાલશે જ તેવું કહી શકાય નહિ. યુપીમાં પણ હાથરસ બળાત્કાર સહિતના ઘણા પ્રકરણો છે જે તે ભૂલાવી દેવા માત્ર યોગી ફેકટર કે મોદી ફેકટર કેટલું અસરકારક બને છે અને માનો કે યુપીની ચૂંટણી યોગીના નામે જીતાય તો યોગી વડાપ્રધાનપદના દાવેદારની યાદીમાં પણ ગોઠવાઈ શકે તેમ છે. તેવું યોગીના કેટલાક ટેકેદારો અને સંઘના કેટલાક આગેવાનો તો માને જ છે.