અપરાધીકરણ : ચૂંટણીમાં ગુનાખોરી એ પહેલા પણ નવી વાત નહોતી આજે પણ નથી. ચૂંટણી સમયે હિંસાખોરી દરેક રાજ્યમાં તેનું પ્રમાણ વધારે હોય છે તો કો’ક રાજ્યમાં ઓછું હોય છે. આ સંજોગો વચ્ચે પરિસ્થિતિનું મુળ શું છે તે શોધાય છે પણ તેનો અમલ થતો નથી. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે રાજકારણમાં અપરાધીકરણ રોકવા કેટલાંક સૂચનો ચૂંટણી પંચને કર્યા હતા. જેમાં જે કોઈ ઉમેદવાર ચૂંટણી માટેની ઉમેદવારી જાહેર થાય એટલે તરત તેનો ગુનાહીત ઘટના વાળી વિગતો જાહેર થઈ જવી જોઈએ. થોડા સમય પહેલા આ બધી બાબતોનો ખ્યાલ રાખતી સંસ્થાએ પણ અપરાધીકરણની છાપ વાળા કે અપરાધમાં સંડોવાયેલા લોકપ્રતિનિધિઓની યાદી જાહેર કરી હતી. આ યાદી પ્રમાણે તમામ પક્ષોને દાગ લાગેલો જ છે. કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી. જેમ રાજકારણમાં બાગી (બળવાખોર) હોય છે તેવી જ રીતા દાગી (અપરાધવાળા) પણ હોય છે. અપરાધ સાબીત થાય અને સજા પડે પછી જ તેઓ ચૂંટણી લડી શકતા નથી બાકી તેમને કોઈ રોકતું નથી.
હવે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક કડક કહી શકાય તેવો ચૂકાદો આપ્યો છે. જેમાં બિહારની ચૂંટણીને અનુલક્ષીને અપરાધીકરણનાં મામલામાં કોર્ટના આદેશોનું પાલન ન કરવાની બાબતમાં દોષિત ઠેરવ્યા છે. આમાં નવ પક્ષોએ કે જેમાંના તમામ રાષ્ટ્રીય કક્ષના પક્ષો છે તેમણે પોતાના પક્ષના ઉમેદવારોનાં અપરાધીઓ અંગેનો ઈતિહાસ જાહેર કર્યો નથી તે ગુનાને કોર્ટનો અનાદર કે અવમાનના ગણીને દોષિત ઠરાવ્યા છે. એટલું જ નહિ પરંતુ તેમને દંડ પણ ફટકાર્યો છે.
આ ચૂકાદા પ્રમાણે શરદ પવારનાં પક્ષ એન.સી.પી. અને ડાબેરી મોરચાનો મુખ્ય ઘટક પક્ષ સીપીએમ.ને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપને પણ એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. જ્યારે બિહારનાં મુખ્ય પક્ષો ગણાતા લાલુપ્રસાદ યાદવનાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ), સ્વ. રામવિલાસ પાસવાને સ્થાપેલા અને હવે વિવાદમાં ઘેરાયેલા પક્ષ લોકજન શક્તિ પાર્ટી અને ડાબેરી મોરચાનાં બીજા ઘટક સીપીઆઈનો પણ એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. આ દંડ ફટકારવાની સાથે કોર્ટે એવી ચેતવણી આપી છે કે, જો હવે પછી સુપ્રિમ કોર્ટનાં ચૂંંટણી સંબધી જે કોઈ આદેશો હોય તે ગંભીરતાથી નહિ લેવામાં આવે તો તેની સજા થશે અને દંડ પણ થશે. અને અન્ય કાર્યવાહી પણ થશે. જો કે આમાં બિહારમાં ઓછી બેઠકો લડનાર બહુજન સમાજ પાર્ટીને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવેલ છે.
આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે સુપ્રિમ કોર્ટે ખાસ ગાઈડ લાઇન જાહેર કરી છે તે પ્રમાણે તમામ રાજકીય પક્ષોએ પોતાની વેબસાઈટના મુખપૃષ્ઠ પર અપરાધ વાળા ઉમેદવારોનો ઈતિહાસ મૂકવો પડશે. ચૂંટણી પંચને પણ એક આવા જ પ્રકારની માહિતી મોબાઈલ એપ્લીકેશન લોંચ કરી તેમાં રજૂ કરવા જણાવાયું છે. ચૂંટણી પંચને પણ ચૂંટણી લડનારા ઉમેદવારો બાબતમાં ખાસ તકેદારી રાખવા અને સુપ્રિમ કોર્ટે જે નિયમો નક્કી કર્યા છે તેનું પાલન થાય છે કે નહિ તેના પર ખાસ દેખરેખ રાખવા સૂચના આપી છે. જો કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોના અપરાધીકરણ અંગેનો ઈતિહાસ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તરત ચૂંટણી પંચને તાકીદ કરવા જણાવાયું છે. આ ઉપરાંત ચૂંટણી સત્તા વાળાઓને ઉમેદવારોનાં અપરાધીકરણ અંગેની વિગતો ઓછા વેચાણવાળા અખબારોમાં પ્રસિદ્ધ કરીને સંતોષ માનવાને બદલે વધુ વેચાણ ધરાવતા અખબારો અને ઈલેક્ટ્રોનીક પ્રચાર માધ્યમોમાં વધુમાં વધુ પ્રમાણમાં પ્રચાર કરવા જણાવાયું છે.
જ્યારે એક અહેવાલ પ્રમાણે એવી પણ સૂચના આપી છે કે, કોઈ સાંસદ કે ધારાસભ્યો વિરોધ જે ગુનાઓનાં કેસ નોંધાયેલા હોય તે કોઈ સંજોગોમાં પાછા ખેંચવામાં નહિ આવે. આ બાબતમાં કેન્દ્ર સરકારને જે સૂચના આપી હતી કે આ બાબત અંગે ભૂતકાળમાં આપેલી સૂચનાઓનું પાલન થવું જોઈએ. આમ સુપ્રિમ કોર્ટ રાજકારણમાં અપરાધી કરણ સામે સક્રિય બની છે પરંતુ ચૂંટણી પંચ આ બાબતમાં વધુ સક્રિય છે ખરૂ? આજ જવાબ માગતો મુદ્દો છે.
અદાલતો તો તેની ફરજ બજાવે જ છે અને કાયદો કાયદાનું કામ કરે જ છે પણ ચૂંટણી પંચ શું કરે છે? એક બંધારણ અને કાયદાનાં નિષ્ણાતે તો ત્યાં સુધી કહ્યું છે કે, ૧૯૯૫નાં દાયકામાં એટલે કે ૧૯૯૫ થી ૨૦૦૦નાં સમયગાળામાં ચૂંટણી પંચ જે રીતે કામગીરી કરતું હતું તે રીતે હાલ કામગીરી કરે છે ખરૂ? ઘણા અખબારોમાં લખાતી કટારોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, ચૂંટણી પંચ સ્વાયત છે ખરૂ? આ અંગે એક દાખલો આપતા વિશ્ર્લેષકો કહે છે કે, કોરોનાનાં કહેર વચ્ચે બિહાર અને પશ્ર્ચિમ બંગાળ સહિતની ચૂંટણી યોજી શકાય પણ હવે જ્યારે કોરોનાં અગાઉનાં પ્રમાણમાં ઘટ્યો છે ત્યારે ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવા કેમ વિચારાતું નથી? ૨૦૧૯માં લોક સભાની ચૂંટણીના સાત-આઠ માસ પહેલા રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીશગઢની ચૂંટણી યોજાઈ હતી તેની તારીખો જાહેર કરવામાં ઢીલાશ કેમ રાખવામાં આવી હતી? આ ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે પહેલા સવારે ૧૧ વાગ્યાનો સમય જાહેર થયો પછી બપોરે ચાર વાગ્યાનો કેમ કરાયો? જયપુરમાં વડાપ્રધાનની રેલીનાં કારણે જે-તે વખતે આ કાર્યક્રમ કર્યો હતો તેવા બીન ભાજપી પક્ષોનાં આક્ષેપ બાબતમાં હજી સુધી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી તે પણ એક હકિકત છે.
આવી તો ઘણી બધી બાબતો છે. પહેલી વાત તો એ છે કે, ચૂંટણી સંબંધી બાબતોનો નિકાલ જો પાંચ દ્વારા યોગ્ય રીતે અને સંબંધીત પક્ષોને સંતોષ થાય તે રીતે થતો હોત તો કોઈ ઉમેદવાર કે પક્ષને કોર્ટમાં જવાની જરૂર જ ન પડત. અપરાધીકરણ બાબતમાં જો ચૂંટણી પંચ પહેલેથી સક્રિય અને જાગૃત રહ્યું હોત તો કોર્ટ સુધી મામલો પહોંચ્યો જ ન હોત. આ વિચારવા જેવી બાબત તો છે જ.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!
રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ
રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી