રાજ્યમાં વીજચોરીના બનાવોમાં વધારો થતાં અદાલતો હવે આરોપીઓની સામે સખ્ત બનતી જઈ રહી છે. કોર્ટમાં રજુ થતાં પુરાવા અને કેસના સંજોગોને ધ્યાને રાખીને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવી રહી છે. જેથી આવા ગુનેગારો બીજી વાર વીજળી ચોરી કરતાં એક વાર નહિ 100 વાર વિચાર કરે. અને આ જ હેતુથી આજે મોરબી કોર્ટે વીજળી ચોરીના ગુનામાં આરોપીને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી.
મોરબી નજીક ઓઇલ મિલ ધરાવતા બે ભાગીદારો દ્વારા વીજ મીટરમાં ચેડાં કરી વીજચોરી કરવાના કેસમાં નામદાર અદાલતે કડક વલણ અપનાવી બન્ને આરોપી ભાગીદારોને એક વર્ષની સાદી કેદ અને રૂ. 36.95 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલ શ્રીજી એસ્ટેટ ખાતે શ્રીરામ ઓઈલ મિલના ભાગીદારો સામે ૩ ફેઇઝ ઇન્ડસ્ટ્રીયલ હેતુસર વીજ કનેક્શન લીધેલ જેનું વીજ બીલ સમયસર ભરપાઈ ના થતા વીજ કનેક્શન બંધ કરવામાં આવેલ અને વીજ મીટર ઉતારી લેબ ચકાસણી કરાવતા અસામાન્ય કોડ જણાતા ઉત્પાદન કંપનીના નિયમાનુસાર વીજ મીટરને બાહ્ય સાધન સર્કીટ વડે ડિસ્પ્લે કરી વીજ મીટરમાં નિયમિત રીતે નોંધાતો વીજ વપરાશ અટકાવવાનું કૃત્ય કરેલ હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં, આરોપીઓએ પોતાની ઓઈલ મિલના વીજ મીટરને કોઈ બાહ્ય સાધન (સર્કીટ) વડે ડિસ્પ્લે કરી નોંધાતો વીજ વપરાશ અટકાવી વીજચોરી કરેલ હોય જે અંગેનો કેસ મોરબીમાં સી. જી. મહેતા, એડીશનલ સેસન્સ જજ એન્ડ સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.આર. આદ્રોજાની દલીલો અને સરકાર તરફે રજુ થયેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રોહિત ભગવાનજીભાઈ કકાસણીયા અને અવચર અમરશીભાઈ કકાસણીયાને તકસીરવાન ઠરાવી બંને આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૩૬,૯૫,૮૮૧નો દંડ ફટકાર્યો છે. તેમજ દંડ ન ભરે તો છ માસની સાદી કેસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.