Ahmedabad News : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ શહેરમાં મંજૂરી વગરની અને ફાયર NOC ન ધરાવનાર મિલકતો સામે કાર્યવાહી ચાલી રહી છે. શાળા-કોલેજો સિવાય ગેરકાયદે પ્રી-સ્કૂલો પણ ધમધમી રહી છે. મોટા ભાગની પ્રી-સ્કૂલો સોસાયટીઓમાં આવેલાં મકાનો અને પતરાંના શેડ ઊભા કરીને શરૂ કરી દેવામાં આવે છે. જે સોસાયટીઓના બંગલા કે મકાનોમાં ચાલે છે. કોમર્શિયલ પ્રવૃત્તિ હોવાથી જે બાંધકામ હોય એનું કોમર્શિયલ તરીકે બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય અને ટેક્સ પણ કોમર્શિયલ ભરવાનો હોય છે. જોકે મોટા ભાગની પ્રી-સ્કૂલો કોમર્શિયલ કરાવતી નથી.
અમદાવાદમાં દરેક વિસ્તારમાં પ્રી-સ્કૂલો આવેલી છે. પ્રી-સ્કૂલો માટેનું રજિસ્ટ્રેશન ચાલુ વર્ષથી શરૂ થયું હોવા છતા આજદિન સુધી કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વિના આ સ્કૂલો ચાલતી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી-સ્કૂલો આવેલી છે, જેમાં મોટા ભાગની કોઈપણ સોસાયટી કે બંગલામાં આવેલાં મકાનોમાં શરૂ કરી દેવાય છે. રહેણાક વિસ્તારમાં પતરાંના શેડ લગાવી દેવામાં આવે છે, આગળ નાનું ગાર્ડન જેવું બનાવી દેવામાં આવે છે અને પ્રી-સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા રોડ ઉપર અને ડીકેબિન વિસ્તારમાં ટ્રી હાઉસ, શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાં ધ રેઈનબો ફિશ સહિતની પ્રી-સ્કૂલો આવેલી છે, જે સોસાયટીઓમાં આવેલાં મકાનોમાં ચાલે છે. એમાં કેટલીક પ્રી-સ્કૂલો પાસે બીયુ પરમિશન નથી, જ્યારે કેટલીક સ્કૂલોએ ઇમ્પેક્ટમાં પણ અરજીઓ કરેલી છે. આમાંની અમુક પ્રી-સ્કૂલોમાં જ ફાયર NOC અને ફાયર સેફ્ટીનાં સાધનો લગાવેલાં છે.
અમદાવાદમાં અંદાજે 5,000થી વધુ પ્રી-સ્કૂલો છે જેમાં મોટા ભાગની સ્કૂલોમાં GDCRના નિયમ પ્રમાણે જે કોમર્શિયલ બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય છે એ લેવામાં આવતું નથી. રહેણાક તરીકેનું બીયુ સર્ટિફિકેટ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેતુ બદલાવ કરી અને કોમર્શિયલ કરાવવું પડે છે, એનો ટેક્સ પણ કોમર્શિયલ ભરવાનો હોય છે, પરંતુ માત્ર સોસાયટીના મકાનમાં બાંધકામ ઊભું કરીને સ્કૂલો શરૂ કરી દેવામાં આવે છે. 9 મીટરથી નીચેની ઇમારતમાં કોઈ ફાયર NOC ન લેવાનો નિયમ હોવાથી NOC લેવામાં આવતું નથી, પરંતુ સુરક્ષાને લઈને ફાયર સેફટીનાં સાધનો લગાવવાનાં હોય છે, જોકે મોટા ભાગની સ્કૂલોમાં સાધનો પણ હોતાં નથી. જો કોઈ ઘટના બને તો નાનાં બાળકોને બહાર કાઢવા માટે માત્ર એક જ દરવાજો હોય છે. આવા મકાનમાં જો કોઈ ઘટના બની જાય તો એના માટે કોણ જવાબદાર બને.
સરકારની સૂચનાથી દરેક એકમને ત્યાં બી.યુ.સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી બાબતે ચકાસણી કરી સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે છેલ્લા 10 દિવસની અંદર રાજકોટ શહેરમાં પણ અનેક પ્રી-સ્કૂલ પાસે બી.યુ. સર્ટિફિકેટ ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે. જોકે આ અંગે પ્રી-સ્કૂલ એસોસિયેશને રજૂઆત કરી છે કે GDCRના નિયમ મુજબ રહેણાક હેતુનુ બી.યુ. સર્ટિફિકેટ માન્ય રાખે, નહિતર 90% પ્રી-સ્કૂલ બંધ થઈ જશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સમય આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રી-સ્કૂલ પર તપાસ કરાય ત્યારે સૌપ્રથમ નકશો માગવામાં આવે છે અને એમાં જો રેસિડેન્શિયલ હેતુ હોય તો તરત સીલ કરવામાં આવે છે, પરંતુ GDCRના નોમ્સ મુજબ પ્રી-સ્કૂલો રેસિડેન્શિયલમાં ગણવામાં આવે છે. પ્રી-સ્કૂલોને રજિસ્ટ્રેશન કરવા માટે તા.17/02/2024ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માટે અને નીતિઓને ફરીથી રિવાઈઝ કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ રાજકોટ મનપાના કમિશનરને તા. 09/04/24નાં રોજ રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે અમે જાણ કરવા માગીએ છીએ કે રાજકોટની મોટા ભાગની એટલે કે લગભગ 90% જેટલી પ્રી-સ્કૂલમાં આવતાં બાળકોની સંખ્યા 50થી ઓછી હોય છે .
આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા
આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?
આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો