છેલ્લા ત્રણ દિવસથી ફ્રાંસમાં અટવાયેલું પ્લેન આજે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થશે. જણાવી દઈએ કે આ પ્લેનમાં 300 થી વધુ મુસાફરો છે અને તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. માનવ તસ્કરીના આરોપમાં ફ્રાંસ સરકારે આ વિમાનને રોકી દીધું હતું.
જણાવી દઈએ કે રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના A340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ દરમિયાન ફ્રાંસ સરકારને માહિતી મળી હતી કે આ પ્લેન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ ફ્રાન્સે આ પ્લેનને રોકી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન થોડા સમય પછી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ શકે છે.
પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે વિમાનને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ વિમાને સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. તે રોમાનિયાની ચાર્ટર્ડ કંપનીનું વિમાન હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોસિક્યુટર્સે કહ્યું કે ફ્રાન્સની નેશનલ એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી છે.
દૂતાવાસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે નિકારાગુઆ એ મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ છે અને તે ન્યૂયોર્ક રાજ્ય કરતાં વિસ્તારની દૃષ્ટિએ થોડો મોટો છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:ક્રિસમસના દિવસે ઈઝરાયેલે ગાઝા શરણાર્થી શિબિર પર કર્યો હવાઈ હુમલો, 70 લોકોના મોત