શ્રીનગર,
આતંકીઓએ પહેલાં નાગરિકો અને આર્મીને નિશાના પર લેતા હતા, ત્યારબાદ હવે તેઓએ જમ્મુ-કાશ્મીર પોલીસકર્મીઓના પરિવારના સભ્યોને ટાર્ગેટમાં લીધા છે. ગુરુવાર રાત્રે અને શુક્રવાર સવારે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ પોલિસકર્મીઓના પરિવારના ૧૧ વ્યક્તિઓના અપહરણ કર્યા હતા, જો કે ત્યારબાદ પોલીસની કાર્યવાહી બાદ તમામ ૧૧ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
![આતંકીઓ દ્વારા કિડનેપ કરાયેલા પોલીસકર્મીઓના ૧૧ સભ્યોને કરાયા મુક્ત, DGPએ કરી પૃષ્ટિ 2 03 આતંકીઓ દ્વારા કિડનેપ કરાયેલા પોલીસકર્મીઓના ૧૧ સભ્યોને કરાયા મુક્ત, DGPએ કરી પૃષ્ટિ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/03-800x445.jpg)
શુક્રવાર સાંજે રાજ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ આતંકીઓને મુક્ત કર્યા બાદ આતંકીઓએ ૧૧ સભ્યોને છોડી મુક્યા હતા. જમ્મુ-કાશ્મીર રાજ્યના DGP એસ પી વૈધે આ વાતની પૃષ્ટિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓ દ્વારા રાજ્યની પોલીસના પરિવારના ૧૧ વ્યક્તિઓને દક્ષિણી કાશ્મીરના પુલવામાં, અનંતનાગ, શોપિયા જિલ્લાના ગામોમાંથી અપહરણ કરાયું હતું.
આ પહેલા જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં બનેલી ઘટનાઓ પછી આ આતંકીઓની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી હતી. કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ એવા આતંકી અહેમદ કચરૂને ઠાર મરાયા પછી ગુરૂવારે વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલ અને અસદલ્લાહ નાઇકુની એનઆઇએ દ્રારા દક્ષિણ કાશ્મીરમાં અવંતિપુરા સ્થિત ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.