નવી દિલ્હી,
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ છેલ્લા ૧૫ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેલ કંપનીઓ દ્વારા સતત તોતિગ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના આ ભાવવધારાના કારણે પહેલેથી જ દેશની સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ચુકી છે ત્યારે હવે એલપીજી સિલિન્ડરોના ભાવમાં પણ વધારો કરવામાં આવતા લોકોના બજેટ પર વધુ માર પડવા જઈ રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સબસીડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨ રુપિયા ૩૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સબસીડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ૪૮ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારના આંકડા મુજબ, વર્તમાન સમયમાં દેશના પ્રત્યેક ૧૦૦ પરિવારોમાંથી ૮૧ પાસે એલલપીજી કનેક્શન છે. સબસીડી વગરના એલપીજી સિલિન્ડરમાં ૪૮ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ સાથે જ ઘરેલુ ગેસ સિલિન્ડર ૭૦૧.૫૦ રુપિયાની જગ્યાએ હવે ૭૫૧.૫૦ રુપિયાના ભાવે મળશે.
શુક્રવારથી જ રાજધાની દિલ્હીમાં સબસીડીવાળા ગેસ સિલિન્ડર ૪૯૩.૫૫ રુપિયા, કોલકત્તામાં ૪૯૬.૬૫ રુપિયા, મુંબઈમાં ૪૯૧.૩૧ રુપિયા અને ચેન્નાઈમાં ૪૮૧.૮૪ રુપિયાના ભાવે મળશે.
મહત્વનુ છે કે, આ પહેલા સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય રાહત આપતા મજાક ઉડાવતા તેલ કંપનીઓ દ્વારા ૭ પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલા ઘટાડા બાદ લાગુ કરવામાં આવ્યો છે. બીજી બાજુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવતા લોકો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે.
