નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ કેબિનેટમાં અરુણ જેટલીને નાણા મંત્રી બનાવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ વર્ષના મે મહિનામાં કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી જેના કારણે તેઓને ૩ મહિનાનો આરામ કરવાનો હતો.
ત્યારે હવે ૩ મહિનાના સમયગાળા બાદ ચાલુ મહિનાના અંતમાં વધુ એકવાર પોતાની નોર્થ બ્લોકની ઓફિસમાં તેઓ નાણા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી શકે છે.
કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ અરુણ જેટલી ઘર પર જ આરામ કરી રહ્યા હતા અને ડોકટરે તેઓને ત્રણ મહિના માટે ભીડ ભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા કહ્યું હતું અને આ સમય ઓગસ્ટના મધ્ય ગાળામાં પૂરો થાય છે. નોધનીય છે કે, હાલમાં નોર્થ બ્લોકના પહેલા માળે આવેલી નાણામંત્રીની ઓફિસમાં રીનોવેશન અને સફાઇ કામ ચાલી રહ્યું છે.
આ ત્રણ મહિના દરમિયાન જેટલી ભલે ઘરે જ રહ્યા હતા અને સરકારના કામકાજથી દૂર રહ્યા હોય, પરંતુ છેલ્લા થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય થયા છે. સોશિયલ મીડિયામાં તેઓએ GST રેટમાં ઘટાડો સહિતના ઘણા મામલે તેઓએ વિપક્ષ પર નિશાન સાધતા હતા.
મહત્વનું છે કે, અરુણ જેટલીની ગેરહાજરીમાં રેલ્વે મંત્રી પીયુષ ગોયેલ નાણા મંત્રીનું કામકાજ સાંભળતા હતા. હાલમાં અરુણ જેટલીએ વિડીયો કોન્ફરન્સ મારફતે અધિકારીઓ અને એક ઇવેન્ટને સંબોધિત કરી હતી.
