નવી દિલ્હી,
કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સાથેની મુઠભેડ બાદ, ઠાર કરાયેલા આતંકીઓના મૃતદેહ પરિવારજનોને સોંપવાની પરંપરા ટુંક સમયમાં બંધ કરવામાં આવશે. સુરક્ષા વિભાગના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કાશ્મીર ખીણમાં આતંકીઓની સ્થાનિક ભર્તી પર રોક લગાવવા માટે આ પ્રકારના મોટા પગલા લેવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ કાશ્મીર ઘાટીમાં લશ્કર, જૈશ અને હિજ્બુલના ટોપ કમાન્ડરોને ઠાર કરાયા બાદ હવે તેમનાં મૃતદેહ પરિવારજનોને નહી સોપવામાં આવે. સેના અત્યારે ઓપરેશન દરમિયાન ઠાર કરાયેલ તમામ આતંકીઓને કોઈ અજાણ્યા સ્થળે દફનાવી દેવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
રક્ષા વિભાગનુ માનવુ છે કે આતંકીઓની અંતીમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવકો જાડાય છે. જેમનુ બ્રેનવોશ કરીને આતંકી સંગઠનો પોતાની સાથે જોડવા માટે પ્રયત્ન કરે છે. ગુપ્તચર વિભાગે તાજેતરમાં જ કેન્દ્ર સરકારને સોંપેલ રીપોર્ટ મુજબ કાશ્મીર ખીણમાં આતંકીઓની અંતિમયાત્રામાં આતંકી ભરતી કેમ્પ ચલાવવામાં આવે છે. જેનુ સંચાલન લશ્કર, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ જેવા આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવે છે.
એટલુ જ નહીં અંતિમયાત્રામાં જાડાનાર આતંકી કમાન્ડરો યુવકોને વોટ્સઅપ પર અંતિમયાત્રાના વીડિયો મોકલે છે અને તેમને ઈમોશનલી બ્લેકમેલ કરે છે.જેના કારણે સુરક્ષા એજન્સીઓએ હવે ઓપરેશન ઓલઆઉટ દરમિયાન ઠાર કરાયેલ આતંકીઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવાની જગ્યાએ કોઈ અજાણ્યા સ્થળે દફનાવી દેવાનો નિર્ણય કર્યો છે.