શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર માસ રમજાન દરમિયાન કરવામાં આવેલા સીઝફાયર પૂર્ણ થતાં સેના દ્વારા સતત આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શુક્રવારે સેના દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં ૩ આતંકવાદીઓને ઠાર કરાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેક્ટરમાં સેનાને ૩ આતંકીઓ છુપાયા હોવાની જાણકરી મળી હતી, ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. આ દરમિયાન આતંકવાદીઓ ઘરમાં છુપાઈ ગયા હતા અને તેઓએ કેટલાક લોકોને બંધી બનાવ્યા હતા.
જો કે ત્યારબાદ સેના અને પોલીસના જવાનોએ તેઓને ઘેરી લીધા હતા અને જવાબી કાર્યવાહીમાં ઠાર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો જેમાં ૧૦ લોકો ઘાયલ થયા છે જયારે એક પ્રદર્શનકારીનું પણ મોત નીપજ્યું છે.
આ પહેલા પણ શુક્રવાર સવારે લગભગ ૫.૩૦ વાગ્યે સેનાએ કુપવાડા સેક્ટરના ત્રેહગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકીને ઠાર કરાયો હતો.
અમરનાથ યાત્રાને લઇ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
અમરનાથ યાત્રાને કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. ગુપ્તચર વિભાગની સુચનામાં કહેવાયું છે કે, પાકિસ્તાનનું આતંકી ગ્રુપ લશ્કર-એ-તોયબા પવિત્ર ગુફા તરફ જતાં રસ્તામાં પડતા પિસ્સૂ ટોપ અને શેશાંગ પર હુમલો કરી શકે છે. આ બંને સ્થાન રણનીતિક રીતે ઘણાં જ સંવેદનશીલ માનવામાં આવે છે. સુરક્ષાને જોતાં એજન્સીઓએ અનેક પ્રકારની તૈયારીઓ કરી છે, જેથી કોઈપણ પરીસ્થિતિઓનો સામનો કરી શકાય.