બેંગલુરુ,
કર્ણાટકમાં હવે વધુ એકવાર સત્તા પલટ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનવાળી સરકારને હજી એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે આ સરકાર પર સંકટ ઉભું થયું છે.
ભાજપ તેમજ કોંગ્રેસ – જેડીએસના ધારસભ્યોને તોડવાના આરોપો વચ્ચે રાજ્યની કુમારસ્વામી સરકારમાંથી બે નિર્દલીય MLA એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.
ઈન્ડીપેન્ડન્ટ MLA એચ નાગેશે જણાવ્યું હતું કે, “મારો સહકાર એક એવી સરકારને આપવાનો હતો કે એક પ્રકારે બેલેન્સ હોય, પરંતુ આ ગઠબંધનની સરકાર તે દિશામાં નાપાસ થઇ છે. તેઓ વચ્ચે પરસ્પર કોઈ સમજુતી નથી, જેથી હું એ નક્કી કર્યું છે કે, હું ભારતીય જનતા પાર્ટી સાથે જઈ રહ્યો છું, જે કારણે રાજ્યમાં એક બેલેન્સ સરકાર બનાવી શકાય”.
અન્ય એક નિર્દલીય ધારસભ્ય ર શંકરે કહ્યું, “આજે મકરસંક્રાંતિ છે જેથી આ દિવસે સરકાર બદલવાની જરૂરત છે. અત્યારની સરકાર કાર્યક્ષમ નથી, તેથી હું મારું સમર્થન પાછું ખેંચી રહ્યો છું’.
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક બાજુ જ્યાં કોંગ્રેસના મહાસચિવ કે સિ વેણુગોપાલ બેંગ્લોર પહોચ્યા છે, જયારે ભાજપના નેતા યેદિયુરપ્પા પણ રાજધાની દિલ્હીમાં મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.
આ ઉપરાંત ભાજપ દ્વારા પોતાના ૧૦૪ ધારાસભ્યોને ગુરુગ્રામની એક હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના ૧૦ તેમજ જેડીએસના ૩ MLA ભાજપના સંપર્કમાં છે.