પ્રયાગરાજ,
ચાલુ વર્ષે યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSSના સહકાર્યવાહક ભૈયાજી જોશીની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે.
ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “રામ મંદિરનું નિર્માણ વર્ષ ૨૦૨૫માં થશે”.
કુંભ ખાતે VHP અને RSSની બેઠકમાં શામેલ થયેલા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “વર્ષ ૧૯૫૨માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો, ત્યારબાદ હવે ૨૦૨૫માં રામજન્મભૂમિ ખાતે મંદિર બન્યા બાદ ફરીથી આ દિશામાં વધુ ગતિ પ્રાપ્ત થવાની છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિર રાષ્ટ્રની ચેતનાનું કેન્દ્ર છે. મંદિરો તો હજારો છે, પરંતુ તે કરોડો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ થયા બાદ દેશ આગળના ૧૫૦ વર્ષોમાં મોટી પૂંજી પ્રાપ્ત કરશે”.
હકીકતમાં, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કેન્દ્રની વર્તમાન મોદી સરકાર દ્વારા રામ મંદિરને લઇ એક સંદેશો આપવામાં આવી રહ્યો છે, જયારે બીજી બાજુ સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલા એક સંકેતના રૂપમાં જોવાઈ રહ્યું છે.
સરકારે કાયદો બનાવવો જોઈએ : RSS
આ પહેલા તેઓએ કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણને લઈ અમે ભીખ નથી માંગી રહ્યા, સરકારે કાયદો બનાવવો જોઈએ”.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નેતાઓમાંના એક ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી ચર્ચિત એવા રામ મંદિરના વિવાદની સુનાવણી ૨૯ જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.