પટના,
બિહારની રાજધાની પટનામાં એક ઘટના સામે આવી છે જ્યાં રિટાયર્ડ IG (ઇન્સ્પેકટર જનરલ)ની દિકરીએ પોતાના લગ્નના એક દિવસ પહેલા જ બિલ્ડીંગના ધાબા પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના રવિવાર સવારની બતાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, રિટાયર્ડ IGની દિકરી સ્નિગઘાના લગ્ન સોમવારે કિશનગંજના DM (ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ) મહેન્દ્ર કુમાર સાથે થવાના હતા, પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ તેઓએ પટનાની સૌથી ઉંચી રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ઉદયગીરીના ૧૪માં માળ ઉપરથી છલાંગ લગાવી હતી, ત્યારે હવે આ આત્મહત્યાને લઇ અનેક સવાલો સામે આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે. આ ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, તેઓ બિલ્ડીંગના ૧૩માં માળ સુધી લિફ્ટથી જતા જોઈ શકાય છે અને ત્યારબાદ તેઓ પગથીયા દ્વારા ૧૪માં માળ સુધી ગયા હતા.
આ ઘટના બાદ પટનાના SSP મનુ મહારાજે કહ્યું હતું કે, “પ્રારંભિક તબક્કે આ આત્મહત્યાનો મામલો લાગે છે, પરંતુ હજી તપાસ ચાલી રહી છે”.
કેવી રીતે થઇ આ ઘટના ?
આ એપાર્ટમેન્ટના ગાર્ડના જણાવ્યા અનુસાર, રવિવાર સવારે ૭ વાગ્યે એક કાર આવીને આ બિલ્ડીંગમાં ઉભી રહી હતી. આ કારમાંથી એક મહિલા ઉતરી હતી અને લિફ્ટ તરફ આગળ વધી રહી હતી.
આ દરમિયાન ગાર્ડે પૂછ્યું હતું કે, ક્યાં જવાનું છે, ત્યારે તેઓએ ૧૨માં માળ પર રહેતા એક મહિલા IPS ઓફિસરનું નામ બતાવ્યું હતું. જો કે ત્યારબાદ ૨૦-૨૫મિનિટ પછી કઈ પડવાનો અવાજ આવ્યો હતો અને તે એક મહિલાએ છલાંગ લગાવી હતી.