પ્રેમની નિશાની કહેવાતા તાજ મહેલના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. બુધવારે સુપ્રીમ કોર્ટે સંરક્ષણ અને રખેવાળી બાબતે સરકારની ઉદાસીનતા પર કહ્યું કે જો તાજ મહેલને સંભાળી નથી શકતા તો પાડી દો. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી તાજની ચમક ફિક્કી પડી રહી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ દર્શાવ્યું છે.
જસ્ટિસ મદન ભીંરાવ લોકુરે તાજ સંરક્ષણ અને રખેવાળીને લઈને કેન્દ્ર સરકાર અને એમની સંસ્થાની ઉદાસીનતા પર ગુસ્સો જતાવતા કહ્યું કે જો સંભાળી નથી શકતા તો પાડી દો.
નારાજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક તરફ ફ્રાન્સના એફિલ ટાવરને જોવા માટે 80 મિલિયન લોકો આવે છે, જયારે તાજ મહેલને જોવા માટે ફક્ત 5 મિલિયન લોકો જ આવે છે. આપ તાજ મહેલને લઈને ગંભીર નથી અને ના તો તમને એની ફિકર છે. આપ ટુરીસ્ટને લઈને ગંભીર નથી. તાજ મહેલને લઈને ઘોર ઉદાસીનતા છે. આપના કારણે દેશને નુકસાન થઇ રહ્યું છે.
કારણ કે આપને તાજ મહેલ બચાવવા, ટુરીસ્ટોને સુવિધા આપવાથી વધારે આના બગડવાની ચિંતા છે. એટલે જ તો તમે ઉદ્યોગ લગાવવાની અરજીઓ લીધી છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે Taj Trapezium Authority (TTZ )માં ઉદ્યોગ લગાવવા માટે લોકો આવેદન કરી રહ્યા છે. અને એ આવેદન પર વિચાર પણ થઇ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા PHD ચેમ્બર્સને કહ્યું કે જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. એને તમે ખુદ જ કેમ બંધ ના કરી શકો. TTZ તરફથી કહેવામાં આવ્યું કે હવે TTZમાં કોઈ નવી ફેક્ટરી ખોલવાની પરવાનગી નહિ અપાય. કોર્ટે TTZના ચેરમેનને નોટિસ મોકલી હતી.
આ પહેલા ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તાજ સંરક્ષણ અને આગ્રાના વિકાસ માટે કેટલીક યોજનાઓ સરકારે તૈયાર કરી છે. આમાં આગ્રામાં ડીઝલ જનરેટર પર પાબંધી, CNG વાહનો પાર જોર, પ્રદુષણ પર નિયંત્રણ, અને પોલીથીન પર પાબંધી જેવા પગલાંઓ શામેલ છે.