નવી દિલ્હી
દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર ‘સરદાર ભગતસિંહ’, ‘સુખદેવ’ અને ‘રાજગુરુ‘ને આજ દિવસ સુધી ‘શહિદ’નો દરજ્જો મળ્યો નથી. ત્યારે આ ત્રણેય મહાન દેશભક્તોને શહિદનો દરજ્જો આપવાની માંગ સાથે તેમના પરિવારજનોએ આજથી દિલ્હીમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. ૧૯૩૧માં ૨૩ માર્ચની રાત્રે અંગ્રેજાએ ભગતસિંહ અને તેમના સાથીઓને ‘ફાંસી’ આપી હતી. પરંતુ કેન્દ્ર સરકારે તેમને શહિદનો દરજ્જો આજ દિવસ સુધી આપેલ નથી ત્યારે સુખદેવ થાપરના પરિવારજનોએ માતૃભૂમિ પર પોતાના જીવનુ બલિદાન આપી દેનાર આ ત્રણેય મહાન વિભુતિઓને શહિદનો દરજ્જો આપવાની માંગ કરી છે.
સુખદેવના પરિવારજનોનુ કહેવું છે કે, તેમણે પોતાનુ જીવન દેશ માટે કુરબાન કરી દીધુ હતું. પરંતુ આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ આજે તેમને શહિદનો દરજ્જો મળ્યો નથી. સુખદેવ થાપરના પરિવારના સભ્ય અશોક થાપરે જણાવ્યુ હતું કે, અમે આજથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ શરૂ કરી રહ્યા છીએ. આ ભૂખ હડતાળ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સરકાર આ ત્રણેયને શહિદનો દરજ્જો નહીં આપે. આ ભૂખ હડતાળમાં ભગતસિંહના પરિવારજનો પણ જોડાયા છે.
બીજીબાજુ વડાપ્રધાન ‘નરેન્દ્ર મોદી’એ શહિદ દિવસ પર ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાને જણાવ્યુ છે કે, આજે દરેક ભારતીયને એ વાતનુ ગર્વ છે કે દેશની ધરતી પર આવા મહાન ક્રાંતિકારીઓએ જન્મ લીધો હતો. તેમણે જણાવ્યુ હતું કે, યુવાવસ્થાની ચરમસીમાએ આ ત્રણેયે પોતાનુ જીવન એટલા માટે કુરબાન કરી દીધુ જેથી કરી બીજા લોકો આઝાદી અને સંમાન સાથે જીવી શકે.