World News/ નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા

Nepal-તિબેટ સરહદે ગ્લેશિયર ફાટવાથી આવેલા પૂરમાં 160 લોકોના મોત થયા છે અને 133 ભારતીયો સહિત 844 લોકો ગુમ છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories World
Nepal

Nepal Glacier Burst Flood:  નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. આશરે 5,200 મીટરની ઊંચાઈએ ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડતાં બરફ, ખડકો અને કાંપનો વિશાળ જથ્થો નદીમાં ધસી આવ્યો હતો. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 844 લોકો ગુમ છે.

133 ભારતીય નાગરિકો પણ સંપર્કવિહોણા

આપત્તિમાં ગુમ થયેલા લોકોમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 133 ભારતીય નાગરિકો હોવાના અહેવાલ છે. તેમાં 59 શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં ગુમ થયેલા ભારતીયો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ ઉપરાંત કેટલાક ભારતીય રાજ્યોએ પણ હેલ્પલાઈન શરૂ કરી છે.

nepal

પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા

નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. ભારે પાણીના પ્રવાહમાં અનેક પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. આશરે 19 પુલ અને લગભગ 40 કિલોમીટર જેટલા રસ્તા ધોવાઈ ગયાના અહેવાલ છે. આ ઉપરાંત અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે. તેના કારણે બચાવ અને રાહત કામગીરી વધુ મુશ્કેલ બની છે.

ભારતે Nepal માં મોકલી રાહત સામગ્રી

નેપાળમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વાયુસેનાના વિમાન મારફતે લગભગ 10 ટન માનવીય સહાય અને જરૂરી દવાઓ નેપાળ મોકલવામાં આવી છે. ભારતે નેપાળને જરૂરી તમામ સહાય આપવાની ખાતરી પણ આપી છે. નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે પણ સાવચેતી વધારી છે. નેપાળમાંથી આવતા પાણીના કારણે ગંડક નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાલ્મિકીનગર ગંડક બેરાજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.

તિબેટમાં પણ ભારે નુકસાન

આ કુદરતી આપત્તિની અસર સરહદ પાર તિબેટ વિસ્તારમાં પણ જોવા મળી છે. અહેવાલો અનુસાર ત્યાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 265 લોકો ગુમ છે. બંને તરફ બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે કામગીરી કરી રહી છે. આ સમગ્ર ઘટનાએ નેપાળ ઉપરાંત ભારત અને તિબેટમાં પણ ચિંતા વધારી છે. હાલમાં સૌથી મોટી પ્રાથમિકતા ગુમ થયેલા લોકોને શોધવા, અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને રાહત કામગીરીને ઝડપી બનાવવાની છે.


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 15% ઘટાડો, કડક ઇમિગ્રેશન નિયમોની અસર

આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા

આ પણ વાંચો:પાકિસ્તાનમાં મોટી હોનારત; હોસ્પિટલના વોર્ડમાં એસી બ્લાસ્ટ થવાથી 15 નવજાત બાળકોના મોત