પયગંબર વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં બીજેપી નેતા નુપુર શર્માની મુશ્કેલીઓ વધી રહી છે. પોલીસે હવે તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રના પુણેમાં કેસ નોંધ્યો છે. આ પહેલા આ જ મામલામાં નુપુર શર્મા વિરુદ્ધ મુંબઈ અને હૈદરાબાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આરોપ છે કે એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન તેણે પ્રોફેટ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી તેણે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. બીજેપી પ્રવક્તા શર્મા વિરુદ્ધ પુણેના કોંધવા પોલીસ સ્ટેશનમાં 31 મેના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. પુણેના NCP નેતાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે.
ભારતીય સુન્ની મુસ્લિમોના સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડેમીની ફરિયાદને પગલે આઈપીસીની કલમ 295A, 153A અને 505B હેઠળ મુંબઈમાં શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એ જ રીતે, હૈદરાબાદના એક પોલીસ અધિકારીની ફરિયાદ પર, શર્મા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153 (A), 504, 505 (2) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બીજેપી નેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદોમાં આરોપ છે કે શર્માએ પ્રોફેટ અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક, ખોટા અને ઠેસ પહોંચાડનારા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. ફરિયાદમાં તેમની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
