જયપુર: હરિયાણાના કૈથલમાં મેડિકલ સાયન્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં, 40 મિનિટના ઓપરેશન દરમિયાન 80 વર્ષના વૃદ્ધના પેટમાંથી 2215 પથરીના ટૂકડાઓને દૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કૈથલના તિતરામના સતબીર હરિયાણા પોલીસમાં તૈનાત છે. સતબીરના પિતા શ્રીચંદને ઘણા દિવસોથી પેટમાં દુખાવો થઇ રહ્યો હતો, પણ અન્ય દવાઓ લઇને સહન કરી રહ્યા હતા. પેટમાં પીડા એટલી વધી ગઇ કે શ્રીચંદ ત્રાસી ગયા હતા. આખરે તેને જયપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જયપુરની હોસ્પિટલમાં ડૉકટરોએ 22 ડિસેમ્બરના રોજ પથ્થરની સર્જરી કરી હતી. આ ઓપરેશન હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.દેવેન્દ્ર પંવારની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ 40 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન શ્રીચંદના પેટમાંથી પથ્થરના 2215 ટૂકડાઓ બહાર આવ્યા, જેને ગણતરીમાં 70 મિનિટ લાગી. એક સાથે આટલી મોટી સંખ્યામાં પથ્થરો બહાર આવતાં જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
એક વેબસાઇટ અનુસાર આ પહેલા માનવના શરીરમાંથી સૌથી વધુ 11,050 પથ્થરો બહાર આવ્યા છે અને બીજા સ્થાને 5070 પથ્થરો પણ બહાર આવ્યા છે. ડૉ.પંવાર કહે છે કે શ્રીચંદના પેટની નળીમાંથી 2215 પથ્થરો બહાર આવ્યા છે, જે ત્રીજા નંબર પર હોઈ શકે છે.