અફઘાનિસ્તાનના શીખોના ખરાબ દિવસોની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તેમના માટે તાલિબાની શાસનમાં જીવવું વધુ મુશ્કેલ બની ગયું છે. તેમના પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ વધી રહ્યું છે. હવે તેમની પાસે બે જ વિકલ્પો છે કાં તો મરી જાવ અથવા દેશ છોડો. ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટીના રિપોર્ટમાં આ સત્યનો પર્દાફાશ થયો છે.
અશરફ ગનીના શાસન દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં શીખોની સ્થિતિ બહુ સારી નહોતી, પરંતુ તાલિબાન શાસન આવ્યા બાદ તેમની સામે ગુનાની ઘટનાઓ સામે આવવા લાગી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાન કટ્ટરપંથીઓએ અઘોષિત ફરમાન જારી કર્યું છે કે કાં તો શીખોએ સુન્ની મુસ્લિમ બની જવું જોઈએ અથવા દેશ છોડી દેવો જોઈએ અથવા તેમની સાથે કંઈ પણ થઈ શકે છે. હ્યુમન રાઈટ્સ વોચે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે તાલિબાનીઓ તેમની સંપત્તિ પર નજર રાખી રહ્યા છે. તેઓ તેમના પર કબજો કરવા માગે છે. આ માટે તાલિબાન પ્રશાસનના અધિકારીઓ તેમને તેમની સંપત્તિમાંથી બહાર કાઢી રહ્યા છે. તેમની મિલકત તેમના સમર્થકોને આપવા માટે તેઓ શીખો પર વિવિધ અત્યાચારો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની કુલ વસ્તી લગભગ 3 કરોડ 90 લાખ છે. પહેલા શીખોની વસ્તી 50 હજારની આસપાસ હતી પરંતુ હવે ધીરે ધીરે તેમની વસ્તી ઘટીને માત્ર 2,500 થઈ ગઈ છે. અહીં તેઓ જબરદસ્ત ભેદભાવનો સામનો કરી રહ્યા છે. સતામણી અને નિશાન બનાવવાના કિસ્સાઓ આવતા રહે છે.