પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જશે તે લગભગ નિશ્ચિત છે. રાજકીય અટકળો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે નવા પીએમ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
નવાઝ શરીફની પુત્રી અને પીએમએલ-એન ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે જણાવ્યું કે પાર્ટીએ શહેબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થશે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મરિયમે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ બેસીને નિર્ણય કરશે કે કોને પીએમ પદ માટે નવો ઉમેદવાર બનાવવો જોઈએ, પરંતુ પાર્ટી (PML-N) શાહબાઝ શરીફને ઉમેદવાર બનાવશે.
ઈમરાન ખાનનો ખેલ ખતમઃ મરિયમ
મરિયમ નવાઝે વધુમાં કહ્યું કે, ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવના ડરથી નેશનલ એસેમ્બલીના સત્રમાં વિલંબ કરવા ઈચ્છે છે. આ બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન અને કલમ 6નું ઉલ્લંઘન હતું. તેમણે કહ્યું કે જ્યારે આ બન્યું ત્યારે અમે કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ઈમરાન ખાનને ચેતવણી આપતા કહ્યું કે હવે તેની રમત પૂરી થઈ ગઈ છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ તૂટી ગઈ છે. ઈમરાન જાણે છે કે તેના બચાવમાં કોઈ આગળ નહીં આવે.