જામનગર/ આણંદપર ગામમાં ખેડૂતના મકાનમાં થયેલી રૂપિયા ૯૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ તથા એલસીબી ની ટીમે ઊંડાણપૂર્વક ની તપાસના અંતે બાજુમાં જ દુકાન ધરાવતા વેપારીને રોકડ રકમ સાથે ઝડપી લીધો.

Top Stories Gujarat Others
ચોરીનો ભેદ ઉકેલાયો

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂતના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૯૫ લાખની રોકડ રકમ ની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં કાલાવડ ગ્રામ્ય પોલીસ અને એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને બાજુમાં જ દુકાન ધરાવતા એક વેપારીને રૂપિયા ૯૫ લાખની તમામ રોકડ સાથે ઝડપી લીધો છે, અને ગણતરીના દિવસોમાંજ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીની વિશેષ પૂછપરછ ચલાવાઇ રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત દિપકભાઈ ભીખાભાઈ જેસડીયાના મકાનમાંથી ગત તારીખ ૭.૧૨.૨૦૨૪ ના દિવસે ૯૫ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પરિવારજનો પ્રસંગમાં બહારગામ ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ ધોળા દહાડે મકાનને નિશાન બનાવી લઇ અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

જે ચોરીની ફરિયાદ નોંધાવ્યા પછી કાલાવડ ગ્રામ્ય ના પી.એસ.આઇ.એચ.વી. પટેલ દ્વારા સૌપ્રથમ તપાસ નો પ્રારંભ કરાયો હતો, ત્યારબાદ એલસીબી ની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ઊંડાણપૂર્વકની તપાસ તેમજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ ના ઉપયોગ ના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જે મકાનમાં ચોરી થઈ હતી, તેની બાજુમાં જ આવેલી દુકાન, કે જેના સંચાલક લવજીભાઈ ગોરધનભાઈ ગોરસીયા દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, અને પોલીસે તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કર્યા પછી આખરે તેણે ચોરી કરી હોવાનું કબૂલી લીધું હતું, અને પોતાના સંબંધીની વાડીના મકાનમાં સંતાડી રાખેલી ૯૫ લાખની રોકડ રકમ પોલીસને સુપ્રત કરી દીધી હતી, અને ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

 પોલીસ દ્વારા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. મકાન માલિક નો પરિવાર પ્રસંગમાં બહારગામ ગયો હતો, દરમિયાન પાછળથી તકનો લાભ લઇ પોતે રકમ વિશે જાણતો હોવાથી દરવાજાના નકુચા તોડી અંદર રહેલી તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી લીધી હતી, અને પાછો ફરીથી પોતે દુકાનમાં વેપાર કરવા બેસી ગયો હતો. પરંતુ આખરે પોલીસ ની કુનેહ પૂર્વકની પૂછપરછ ના અંતે પોતે ઝડપાઈ ગયો હતો.

મકાન માલિકે પરિવારનો સભ્યો ગણ્યો, તેણે જ ખેડૂત પરિવારનો વિશ્વાસ ઘાત કર્યો

કાલાવડ ના આણંદપર ગામના ખેડૂત દિપકભાઈ જેસડીયા કે જેના મકાનમાંથી ૯૫ લાખની રોકડ ની ચોરી થઈ હતી, તેના જ મકાનના એક ભાગમાં દુકાન આવેલી છે, જે દુકાન આરોપી લવજીભાઈ ગોરસીયાને વાપરવા માટે આપી હતી, અને પરિવારના સભ્યોની જેમ જ તેના પર વિશ્વાસ કરીને ઘરની બધી વાતો કરતા હતા.

 ખેડૂત પરિવારને પ્રસંગમાં જવાનું હોવાથી આરોપી વેપારીએ પોતાની જ કાર બહારગામ જવા માટે આપી હતી. જે કારમાં ખેડૂત પરિવાર બહારગામ ગયો, પાછળથી વેપારીએ મકાનમાં હાથ ફેરો કરી લીધો હતો, અને ખેડૂતના ઘરમાં પડેલું તેઓનું બાઈક કે જેમાં જ રોકડ રકમની ચોરી કરીને પોતે ભાગ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળી આવ્યા હતા, અને ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

આરોપી જુગાર રમવાની ટેવ વાળો હતો’ પરંતુ પોલીસે સમયસર ભેદ ઉકેલી નાખી રકમ વાપરતાં બચાવી કાલાવડ ગ્રામ્ય પોલીસ અને એલસીબી ની ટીમે પકડી પાડેલા આરોપી લવજીભાઈ ગોરસીયા કે જે પોતે જુગાર રમવાની ટેવ વાળો હતો, અને આટલી મોટી રકમ હાથમાં આવી ગઈ હોવાથી તે રકમને જુગારમાં વાપરી નાખે તે પહેલાં જ પોલીસ ટુકડી ત્રાટકી હતી અને તમામ રકમને બચાવી લઈ કબ્જે કરી લીધી હતી.



આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા