આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો યુસૈન બોલ્ટ ‘ચિત્તા’ હતો. દેશમાં છેલ્લે ચિત્તા 1948 માં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 74 વર્ષ બાદ ચિત્તા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે શનિવારે જ પીએમ મોદી 72 વર્ષના થવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનું સ્વાગત કરવા પહોંચશે. આ પાર્કમાં નામીબીયાથી લાવવામાં આવતા 8 ચિત્તા રાખવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલયથી જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પીએમ મોદી સવારે 9.20 કલાકે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્ક જવા રવાના થશે. આ અંતર લગભગ 165 કિલોમીટર છે. આ પછી, તેઓ સવારે લગભગ 10.30 વાગ્યે ચિતાઓના મુક્તિના પ્રથમ સ્થળ પર પહોંચશે અને બીજા સ્થળે સવારે 10.45 વાગ્યે ચિત્તાઓને છોડશે.
નામિબિયાથી આવતા ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે. આ ચિતાઓ ખાસ જમ્બો જેટ દ્વારા સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંયાં હતા. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્કમાં લાવશે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ બિડાણમાં રાખવાની હોય છે. તેમને થોડા સમય માટે આ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. પીએમ મોદી પિંજરાની લીવર ખેંચીને આ ચિત્તાઓને આ એન્ક્લોઝરમાં છોડાવવા જઈ રહ્યા છે. ચિત્તાઓને મુક્ત કર્યા બાદ પીએમ મોદી અહીં એક સંવાદમાં ભાગ લેશે.
ચિત્તાઓને ભારતમાં લાવવા અંગે, વડા પ્રધાન કાર્યાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા અને વિવિધતા લાવવાના પીએમ મોદીના પ્રયાસોનો એક ભાગ છે. પ્રોજેક્ટ ચિતા, જે ચિત્તાઓને ભારતમાં પરત લાવ્યોછે. તે વિશ્વના સૌથી મોટા વન્યજીવન ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ્સમાંનો એક છે.
ચિત્તાઓનું ભારતમાં પરત આવવાથી ઘાસના મેદાનો અને ખુલ્લા જંગલોમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ મળશે. સાથે જ તે જૈવવિવિધતાને પણ સાચવશે.
પીએમ ‘ચિતા મિત્ર’ને મળશે
નેશનલ પાર્કની આસપાસ રહેતા લોકો ચિત્તાથી ડરીને તેમને નુકસાન ન પહોંચાડે તે માટે સરકારે ‘ચિતા મિત્ર’ પણ બનાવ્યા છે. પોતાના કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી આ ચિતા મિત્રોને મળશે. સરકારે 90 ગામના 457 લોકોને ચિતા મિત્ર બનાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ રમેશ સિકરવારનું છે. પહેલા તે ડાકુ હતો અને હવે તેણે ચિતાઓની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
કુનો બાદ મોદી કરહાલ જશે
કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓને મુક્ત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યોપુર જિલ્લાના કરહલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. આ પછી, તેઓ અહીં સ્વસહાય જૂથો (SHGs) ની મહિલાઓના એક કાર્યક્રમમાં ભાગ લેશે. તે આ મહિલાઓને બેંક લોન એલોટમેન્ટ લેટર આપશે. જલ-જીવન મિશનની કીટ આપશે. આ સાથે જ વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના હેઠળ સ્થાપિત ચાર કૌશલ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરશે.
આ સિવાય પીએમ મોદીનો ITI વિદ્યાર્થીઓના કોન્વોકેશનમાં હાજરી આપવાનો પણ કાર્યક્રમ છે. તેમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાંજે પીએમ મોદી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી પણ લોન્ચ કરશે. જો કે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં ચિત્તાના આગમનને લઈને ચિત્તાઓનો એક વીડિયો શેર કર્યો છે.