PM Narendra Modi Uzbekistan Kyrgyzstan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી ચાર દિવસની મધ્ય એશિયા મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મુલાકાત લેશે. તેમની યાત્રામાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે એસસીઓની બેઠક પણ મહત્વની રહેશે. આ પ્રવાસને ભારતની સુરક્ષા, વેપાર અને જિયોપોલિટિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
તાશકંદમાં ઉઝબેકિસ્તાન સાથે મહત્વની ચર્ચા
પ્રધાનમંત્રીની(PM Narendra Modi) યાત્રાની શરૂઆત ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદથી થશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા, આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી અને ડિજિટલ કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ક્રિટિકલ મિનરલ્સ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ભાર રહી શકે છે.

રક્ષા અને આતંકવાદ સામે સહયોગ પર નજર
ભારત માટે ઉઝબેકિસ્તાન માત્ર વેપારી ભાગીદાર નથી, પરંતુ મધ્ય એશિયામાં એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગી પણ છે. બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સહકાર વધી રહ્યો છે. આતંકવાદ સામેની લડાઈ અને પ્રાદેશિક સુરક્ષા અંગે પણ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ શકે છે. મધ્ય એશિયામાં ભારતની હાજરી મજબૂત કરવા માટે ઉઝબેકિસ્તાન સાથેના સંબંધો મહત્વ ધરાવે છે.
શાસ્ત્રીજીના સ્મારકની મુલાકાત બની શકે છે ખાસ
તાશકંદ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના સ્મારકની મુલાકાત લઈ શકે છે. શાસ્ત્રીજીનું 1966માં તાશકંદમાં અવસાન થયું હતું. આ કારણે તાશકંદ સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ પણ જોડાયેલો છે. પ્રધાનમંત્રી(PM Narendra Modi) મહાત્મા ગાંધીના સ્મારકની મુલાકાત પણ લે તેવી શક્યતા છે. ઉઝબેકિસ્તાન બાદ મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. અહીં તેઓ એસસીઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. સુરક્ષા, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ ભારતની પ્રાથમિકતાઓમાં રહી શકે છે.
પુતિન સાથે મુલાકાત પર સૌની નજર
એસસીઓ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓ સાથે મોદીની(PM Narendra Modi) દ્વિપક્ષીય મુલાકાતોની પણ શક્યતા છે. ભારત માટે રશિયા સાથેના સંબંધો મહત્વપૂર્ણ હોવાથી મોદી અને પુતિન વચ્ચેની ચર્ચા ખાસ ધ્યાન ખેંચી શકે છે. ચીન, રશિયા, અમેરિકા અને તુર્કી જેવા દેશો મધ્ય એશિયામાં પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત કરવાનું મહત્વ વધી જાય છે. ચાબહાર બંદર અને મધ્ય એશિયા સુધી કનેક્ટિવિટી ભારત માટે લાંબા ગાળે મહત્વપૂર્ણ બની શકે છે. તેથી મોદીની આ ચાર દિવસની યાત્રા માત્ર રાજદ્વારી મુલાકાત નહીં પરંતુ ભારતની મોટી વ્યૂહાત્મક પહેલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પીએમ મોદીના હસ્તે 67 કરોડથી વધુના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે
આ પણ વાંચો: પીએમ મોદીના સુરત પ્રવાસ પહેલાં ‘સ્વચ્છતા હી સેવા’નો ધમધમાટ, 800 સ્થળે મેગા સફાઈ
આ પણ વાંચો: પીએમ મોદી આજથી ત્રણ રાજ્યોના પ્રવાસે, ઝારખંડ, બંગાળ અને બિહારમાં સભાઓ કરશે
