PM Modi Surat Visit: વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના આ આગમનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે સુરત વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સ્વાગત પૂર્વે ડાયમંડ સિટી સુરતમાં ભવ્ય ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાઈ છે, જેનું નેતૃત્વ ખુદ નવનિયુક્ત કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલે સંભાળ્યું છે. આજે વહેલી સવારે તેઓ સુરતના ભટાર ઉમરાઉ નગર વિસ્તારમાં જાતે સફાઈ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓને રૂ. 18000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપવાના છે.
“પીએમના પ્રવાસના 1 અઠવાડિયા પહેલાં સફાઈનો આગ્રહ”
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે શ્રમદાન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં દેશનું સુકાન સંભાળ્યા પછી સૌથી પહેલી પ્રાથમિકતા દેશની સ્વચ્છતાને આપી હતી. આજે તેના અદ્ભુત અને સકારાત્મક પરિણામો આખો દેશ જોઈ રહ્યો છે. દેશભરમાં જે 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું, તે સ્વચ્છતા માટે અત્યંત આવશ્યક પગલું હતું અને તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં આપણી બહેન-દીકરીઓને બહુ મોટી રાહત અને સુરક્ષા મળી છે.”
પાટીલે વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદીનો હંમેશાં એવો આગ્રહ હોય છે કે તેઓ જે પણ શહેરની મુલાકાત લેવાના હોય, તેના એક અઠવાડિયા પહેલાં ત્યાં વ્યાપક સ્તરે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોમાં જાગૃતિ અને સ્વચ્છતા બંનેનો વ્યાપ વધે.

Surat : લાંબા રસ્તાઓ પર 800 સ્થળોએ ક્લીનલીનેસ ડ્રાઈવ
વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે સુરત મહાનગરપાલિકા (SMC) અને ભાજપના કાર્યકરો એક્શન મોડમાં આવ્યા છે. આખા સુરત શહેરમાં અંદાજે 26 કિલોમીટર લાંબા મુખ્ય રસ્તાઓ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ 800 જેટલા નિર્ધારિત સ્પોટ પર આ મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ ચાલી રહી છે. આ જનઅભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને રીઝનલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મોનિટરિંગ કરી રહ્યા છે અને સમગ્ર સુરતને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે.
‘આઝાદી મળી પણ સ્વચ્છતામાં આપણે પાછળ હતા’
સ્વચ્છતા અભિયાન દરમિયાન સી.આર. પાટીલે ભૂતકાળની સરકારો પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, “આપણને આઝાદી તો વર્ષો પહેલાં મળી ગઈ હતી, પરંતુ દેશમાં સ્વચ્છતાને ક્યારેય કોઈ સરકારે પ્રાથમિકતા આપી નહોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ જ સમગ્ર દેશમાં સ્વચ્છતા એક મોટું જનઆંદોલન બની શકી છે.” તેમણે ગર્વભેર જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ દેશભરમાં સ્વચ્છતા રેન્કિંગમાં પ્રથમ ક્રમ (નંબર 1) પ્રાપ્ત કર્યો છે. આ ઐતિહાસિક ગૌરવ સુરતના સફાઈ કામદારો, અધિકારીઓ અને જનતાની સંયુક્ત મહેનતનું પરિણામ છે. હવે સુરતવાસીઓની જવાબદારી છે કે આ ‘નંબર વન’નું બિરુદ સતત જાળવી રાખે.
ચોમાસા પૂર્વે રોગચાળો અટકાવવા સુરતમાં હેલ્થ કેમ્પ
સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર રસ્તાઓની સફાઈ જ નહીં, પરંતુ ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન હેલ્થ પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે. શહેરમાં ક્યાંય પણ ચોમાસાનું પાણી ભરાઈ ન રહે અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે તંત્ર સતત એક્શનમાં છે. ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોથી નાગરિકોને બચાવવા તેમજ જાગૃતિ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સુરત શહેરમાં 900 જેટલા વિશેષ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ખુલ્લા દિલથી બિરદાવ્યું હતું.
ઘરથી દેશ સુધી સ્વચ્છતા રાખવા અપીલ
અંતમાં કેન્દ્રીય મંત્રીએ સુરતના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતાને માત્ર પોતાના ઘર પૂરતી સીમિત ન રાખતા પોતાના મહોલ્લા, સોસાયટી અને સમગ્ર શહેર સુધી વિસ્તારે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજે વડાપ્રધાનના અભિયાનની એટલી ઊંડી અસર થઈ છે કે નાના બાળકો પણ જાગૃત થયા છે અને ચોકલેટ ખાઈને તેના રેપર ગમે ત્યાં ફેંકવાને બદલે ડસ્ટબિન શોધે છે. જ્યારે આપણા દેશના નાના બાળકો આટલી જાગૃતિ દાખવતા હોય, ત્યારે આપણા સૌ વડીલો અને નાગરિકોની પણ વિશેષ ફરજ બને છે કે આપણે આ સ્વચ્છ આદતોનું હંમેશાં પાલન કરીએ.
આ પણ વાંચો: મુખ્યમંત્રીએ ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત, સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી પહોંચશે!
આ પણ વાંચો: સુરતની સ્વચ્છતાની વાસ્તવિકતા, એવોર્ડની ચમક વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય
આ પણ વાંચો: સુરતનો સ્વચ્છતા નંબર-વનનો એવોર્ડ સવાલોના ઘેરામાં
