ગુજરાત વિધાનસભાની ચુંટણીના પગલે સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ રોકવા માટે ભાજપની માંગને ચુંટણીપંચે ફગાવી દીધી છે. ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી ચુંટણીપંચને એક પત્ર લખવામાં આવ્યો હતો. જોકે ચુંટણીપંચે પદ્માવતી ફિલ્મની રીલીઝ અંગે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે.
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યુ હતું કે ગુજરાતના ૧૬ જિલ્લામાં રાજપૂત સમાજે ભાજપ સમક્ષ પદ્માવતી ફિલ્મની રીલીઝ રોકવા માટે માંગ કરી છે. તેમનુ કહેવુ હતુ કે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. જેનાથી રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેથી આ ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મુકવો જોઈએ.
આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રીલીઝ થવાની છે. જોકે ગુજરાત અને રાજસ્થાનમાં રાજપૂત સમાજ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ફિલ્મના શુટિંગ દરમિયાન પણ વિરોધ થયો હતો.