૧૬મી સદીમાં સંત શ્રી મીરાંબાઈએ બપૈયોની સરખામણી શ્રી કૃષ્ણ ભગવાનના પ્રેમ સાથે કરી હતી. તેઓએ બપૈયો ના સુરીલા ગીતોની પ્રેમલીલાને, શ્રી કૃષ્ણના છેતરામણા લાઠિયો/ કામેચછું પ્રેમ સાથે સરખાવ્યો છે. જેમ શ્રી કૃષ્ણને ભલે જોયા ન હોય પરંતુ જો શ્રી કૃષ્ણને સમજો તો તેના પ્રેમમાં પડી જવાય તેમ બપૈયો ને બોલતો સાંભળો તો તેના પણ પ્રેમમાં પડી જવાય! લોકસાહિત્યમાં અને ગીત – સંગીતમાં તેના અવાજની સુંદરતાના લીધે બપૈયોનો ઘણો ઉપયોગ થયો છે. ભારતીય સાહિત્યમાં તેને કોઈએ નકારાત્મક રીતે નથી વર્ણવ્યો અને તેના બદલે જુદી જુદી રીતે તેના હકારાત્મક વખાણ થયેલા છે. બપૈયો/ પપીહા શબ્દ ઉપરથી શોધો તો અનેક ગીત મળી જાય. તે જે પી…. બોલે છે તેનો અર્થ કવિ એવો કાઢે છે કે પ્રિયતમ તું ક્યાં છે! હકીકતે તે રાગમાં ગાય છે માટે માટે તેનું પી…. પી….. પ્રિયતમ જેવું ઉચ્ચારણ સંભળાય છે! તેની બોલી કામોત્તેજક લાગે છે.

સુંદર અને મધુર અવાજ હોવા છતાં તેના વધારે બોલવાના કારણે અંગ્રેજોએ તેને મગજનું દહીં/ Brain fever bird એવું નામ આપી દીધું. ખુબ બોલે માટે પાગલ પક્ષી કહે. નાહકનો – કંઈ પણ – બદનામ બપૈયો!
ચોમાસુ તેટલેતેમના માટે શ્રેષ્ઠ ઋતુ અને તેમાં નર માદાને પોતાની તરફ આહવાન આપી આકર્ષવા માટે ગાતું હોય છે. ચોમાસાની શરૂઆત થાય એટલે તેના બોલવાનો અવાજ સાંભળો અને જેમ જેમ ચોમાસુ જામતું જાય તેમતેમ તેનું બોલવાનું વધે. દિવસ રાત સતત બોલે અને છેક પરોઢ સુધી બોલતું સાંભળવા મળે. કોયલના કુળના આ પક્ષીને સાંભળવા મળે તો આનંદ થાય. વસંત ઋતુમાં પણ બોલતા સંભળાય છે. પી…પીહા, પી…પીહા, પી…. પીહા એમ ત્રણ વખત ચઢતા સ્વરે બોલતું હોય છે અને ક્યારેક પાંચથી સાત વખત પણ બોલતું હોય છે. તેમાંયે બીજો સ્વર લાંબો અને તીણો હોય છે જે ધીરે ધીરે તીવ્ર થતો જાય છે. ઘણા લોકો નું માનવું હોય છે કે બપૈયો કોયલ કરતા પણ મીઠું ગાય છે. પરોઢનો સમય તેને સાંભળવાનો શ્રેષ્ઠ સમય છે.

જેટલો અવાજ સુંદર છે તેટલું દેખાવમાં સુંદર નથી. ઘેરા ભૂખરા રંગનું આ પક્ષી વૃક્ષની અંદરના ભાગની ડાળીઓ ઉપર બેસે અને તેના રંગના કારણે જલદી દેખાય નહિ! અવાજ સાંભળીને તમે તેના તરફ આકર્ષાઈ નજીક જાવ એટલે અંદર અને અંદર આઘું જતું રહે, બાકી ઉડવાની બહુ તસ્દી ન લે. બપૈયો જમીન ઉપર ખાસ ઉતારતા નથી.

નર અને માદા દેખાવે લગભગ સરખા દેખાય. આંખોની કીકીની બહારની ધાર પીળી હોય છે તેમજ ચાંચ અને પગ પણ પીળા હોય છે જેમાં લીલા રંગના ટપકા હોય છે. તેના શરીરનો પીઠનો ઉપરનો ભાગ આછો ભૂખરા રંગનો હોય છે. પેટ સફેદ હોય છે અને તેમાં સફેદ ભૂરી ધારીઓ હોય છે. તેઓની પૂંછડીમાં છેવાડે પહોળી ધાર હોય છે.

તેની બેસવાની રીત અને ઉડવાની રીત શિકરા પક્ષી જેવી હોય છે. દેખાવમાં પણ શિખર સાથે સામ્ય હોઈ ક્યારેક ઓળખવામાં ભૂલ થઇ જાય છે. ઘણા લોકો તેને શિકરા માની લે છે અને તેવીજ રીતે બીજા પક્ષી પણ તેને જોઈ શિકરા માની સચેત થઇ જાય છે અને પોતાના કુળના અને બીજા પક્ષીઓને પણ ચેતવે છે કે ભય છે. કોયલની જેમ તે પોતાનો માળો નથી બનાવતું પરંતુ બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે.

ઉત્તર ભારતમાં તેમનો રંગ વધારે કાળાશ ઉપર હોય છે જે દક્ષિણ ભારતમાં શરીર થોડું મોટું અને ભરાવદાર હોય છે અને રંગમાં થોડા જુદા જુદા ચિત્રવિચિત્ર રંગ હોય છે. બીજે બધે લગભગ એક સરખા બપૈયો જોવા મળે છે. આ ઉપરાંત એકબીજાથી જુદા પડતા બપૈયો પણ હોય છે જેના માટે એવું મનાય છે કે તે વર્ણશંકર/ ક્રોસ બ્રીડીંગ ના કારણે ઉદ્ભવેલા છે. ભારતવર્ષમાં સર્વત્ર માદા બપૈયો લગભગ એકસરખા જોવા મળે છે. શિયાળામાં જયારે ભારે ઠંડી પડે ત્યારે તેઓ નજીકના સૂકા વિસ્તારમાં પ્રયાણ કરી જાય છે.

ગુજરાતના કેટલાક ભાગમાં ખેડૂત બપૈયોને ખરડીયો તરીકે ઓળખે છે. ચોમાસામાં વચ્ચે જ્યારે વરસાદ વિનાનો કોરો સમય આવે ત્યારે તે વધારે ઊંચા અવાજે બોલે છે અને તે સમયને ગુજરાતી ભાષામાં ગામડામાં લોકો ખરડ સમય – (વરસાદ ન આવવાના કારણે ઉદાસી છાઈ જાય) કહે છે.

વસંતઋતુ આસપાસ માદા ઈંડા મૂકે છે. માર્ચ મહિનાથી જૂન મહિનો તેમની ઈંડા મુકવાની ઋતુ. ખાસ કરીને તેઓ પોતાના સાથીદારને બદલતા નથી અને પ્રજનનની ઋતુમાં પોતાના સાથીદારની સાથેજ રહેતા હોય છે. તેઓ કાયમ માટે એકજ હરિયાળી જગ્યામાં રહે છે અને જૂનો માળો પણ વાપરે છે. ઈંડા મુકવા માટે ખાસ કરીને પીળી ચાંચવાળા લેલા / જંગલ બેબલર ના માળામાં પોતાનું ઈંડુ મૂકી, લેલાના ઈંડાને બહાર ફેંકી દે છે. લેલાના ઈંડાનો રંગ લગભગ બપૈયોના ઈંડાને મળતો આવે છે તેટલે લેલા છેતરાઈ જાય છે અને તેમને ખબર નથી પડતી.

વાદળી રંગના એક થી પાંચ ઈંડા પ્રજનનની એક ઋતુમાં મૂકી શકે છે. નર અને માદા બંને તેને વારા ફરતી ચાર થી પાંચ અઠવાડિયા સુધી સેવે છે અને બચ્ચા માટે ખોરાક લાવી બંને ઉછેરે છે. લગભગ છ અઠવાડિયામાં બચ્ચા ઉડતા થઇ જાય છે.
ખોરાકમાં જીવડાં અને ઈયળો ખાય છે. તેઓના શરીરની રચના પ્રમાણે તે વાળ વાળી ઈયળ પકડી વૃક્ષની ડાળી સાથે પછાડી પછાડીને વાળ છુટા કરી નાખે છે અને બાકી રહી ગયેલા વાળને તેમના શરીરની પાચનની રચના બહાર કાઢી નાખે છે. જે વૃક્ષ ઉપર વધારે ઈયળો બેસતી હોય તેવા વૃક્ષ ઉપર રહેવાનું પસંદ કરે છે.
લેખક: જગત કીનખાબવાલા
(ફોટોગ્રાફ:શ્રી સેજલ શાહ ડેનિયલ, ડો.શ્રી યતીન દેસાઈ)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
