અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પદ્દને છોડવાની અણી ઉપર જ છે અને બાય-બાય કરતા કરતા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે બાયો ચડાવી એવા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે તિબેટીઓને તેમના ધાર્મિક નેતા દલાઈ લામાનાં અનુગામી એટલે કે, આગામી વારસદારને પસંદ કરવાનો અધિકાર આપે છે. આપને જણાવી દઇએ કે, ચાઇના અને યુએસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અવગણીને અને બેઇજિંગની ચેતવણીઓને નજર આંદાજ કરીને ‘તિબેટ પોલિસી એન્ડ સપોર્ટ એક્ટ’ને વર્ષ 2020નાં છેલ્લા અઠવાડિયે યુ.એસ. કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી ચીન ખરાબ રીતે ચીડાયું છે અને તેના વિદેશ મંત્રાલયે આ કાયદાને ચીનના આંતરિક મામલામાં દખલ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

યુ.એસ. કોંગ્રેસ દ્વારા બિલ પસાર થયા બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે, અમે યુએસને વિનંતી કરીએ છીએ કે, તેઓ ચીનના આંતરિક મામલામાં દખલ ન કરે અને આ નકારાત્મક કાયદાઓ પર હસ્તાક્ષર કરવાથી બચો. કદાચ તે ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.
સોમવારે નવો કાયદો બનવાના અહેવાલો પછી, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગ – યુએસના આ કાયદાને સ્વીકારતું નથી અને તિબેટને લગતા પ્રશ્નો અમારી ઘરેલુ બાબતો છે, તેનાથી અન્યોએ દુર રહેવું જોઇએ.
યુએસ કાયદા પ્રમાણે તિબેટના શાહબ લ્હાસામાં યુએસ દૂતાવાસ ખોલવાની હાકલ કરવામાં આવી છે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે, તિબેટીઓને 14 માં દલાઈ લામાનાં અનુગામીને પસંદ કરવાનો અધિકાર છે. તે જ સમયે, દલાઈ લામાને અલગાવવાદી, ખતરનાક ગણાવનાર ચીન કહે છે કે, તિબેટના ધાર્મિક નેતાની ચૂંટણીમાં બેઇજિંગની મંજૂરી લેવી જરૂરી છે. જો કે, તિબેટ ચીનના આ દાવાને સ્વીકારતું નથી.

કાયદો શું કહે છે?
નવા કાયદા હેઠળ યુ.એસ.ના વિશેષ રાજદ્વારીને તિબેટના મામલા પર ફક્ત તિબેટ બૌદ્ધ સમુદાય દ્વારા આગામી દલાઈ લામાને પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સુનિશ્ચિત કરવા માટે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાઈ શકે છે.
- તે તિબેટમાં તિબેટી સમુદાયોના સમર્થનમાં બિન-સરકારી સંગઠનોને સહાયની દરખાસ્ત કરે છે.
- તિબેટના લ્હાસામાં યુએસ કોન્સ્યુલેટની સ્થાપના થાય ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં નવા ચાઇનીઝ કોન્સ્યુલેટ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા છે.
- કાયદો યુએસ સરકારને દલાઈ લામાના અનુગામી સાથે દખલ કરનાર કોઈપણ ચીની અધિકારી પર આર્થિક અને વિઝા પ્રતિબંધો લાદવાનો નિર્દેશ આપે છે.
- આ કાયદો ચીનને યુ.એસ. માં કોઈ પણ નવું વ્યાપારી દૂતાવાસ ખોલવા પર પ્રતિબંધ મુકે છે ત્યાં સુધી યુ.એસ.ને તિબેટમાં તેની રાજદ્વારી કચેરી ખોલવાની મંજૂરી ન મળે.
દલાઈ લામાને ભારતે આશ્રય આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, 14માં દલાઈ લામાને ભારતે આશ્રય આપ્યો હતો, તિબેટ પર ચીનના આક્રમણ બાદ ચીનથી ભાગીને દલાઈ લામા 1959 થી ભારતનાં રાજકીય આશ્રયમાં રહતા હતા. તેમની સાથે આવેલા તેમના હજારો અનુયાયીઓ હાલ પણ હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં પણ રહે છે. હાલમાં ભારતમાં લગભગ 80 હજાર તિબેટીઓ અહીં વસવાટ કરે છે. આ ઉપરાંત, દોઢ મિલિયનથી વધુ તિબેટિયનોએ વિશ્વભરમાં, ખાસ કરીને યુ.એસ. અને યુરોપમાં આશરો લીધો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
