Maharashtra Political/ શિંદે જૂથની સુપ્રીમ કોર્ટમાં અરજી, કહ્યું અમને રોજ મળી રહી છે ધમકીઓ, અમારો જીવ જોખમમાં છે

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે પણ પ્રવેશ કર્યો છે, કેન્દ્ર સરકારે 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે, જયારે એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

Top Stories India

મહારાષ્ટ્રનો રાજકીય સંઘર્ષ અત્યારે અટકે તેમ લાગતું નથી. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદે મોરચા પર ઉભા છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાનું વલણ દર્શાવ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે પણ પ્રવેશ કર્યો છે. કેન્દ્ર સરકારે 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે. જયારે એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

શિંદે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ધારાસભ્યોએ કહ્યું છે કે શિવસેના ધારાસભ્ય દળના બે તૃતીયાંશથી વધુ સભ્યો અમારું સમર્થન કરે છે. આ હકીકતથી સંપૂર્ણ વાકેફ હોવા છતાં, ડેપ્યુટી સ્પીકરે 21 જૂને પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતાની નિમણૂક કરી હતી. અરજીમાં ડેપ્યુટી સ્પીકરની નોટિસને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી ગણાવવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ બાદ તેને અને તેના અન્ય સહયોગીઓને દરરોજ ધમકીઓ મળી રહી છે. તેમનો જીવ જોખમમાં છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે અન્ય પક્ષ (શિવસેના) એ માત્ર તેમના નિવાસ/પરિવારના સભ્યો પાસેથી સુરક્ષા પાછી ખેંચી નથી, પરંતુ પાર્ટીના કાર્યકરોને વારંવાર ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરજદારના કેટલાક સહયોગીઓની મિલકતોને પણ નુકસાન થયું છે તેમનો જીવ ગંભીર જોખમમાં છે.

જયારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખ્યો છે. તેમણે મહારાષ્ટ્રના બળવાખોર 47 ધારાસભ્યો અને તેમના પરિવારોને સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની જોગવાઈ કરવાની અપીલ કરી છે. રાજ્યપાલ પહેલા જ મહારાષ્ટ્રના ડીજીપીને પૂરતી પોલીસ સુરક્ષા આપવા માટે કહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ ધારાસભ્યોને પહેલાથી જ CRPF સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રનો રાજકીય સંઘર્ષ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં બળવાખોર ધારાસભ્યોએ અયોગ્યતાની કાર્યવાહીની શરૂઆતને પડકારી છે. અરજીમાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા અને મુખ્ય દંડક તરીકે શિંદેના સ્થાને અન્ય ધારાસભ્યને લાવવાને પણ વિધાનસભામાં પડકારવામાં આવ્યો છે. એટલે કે ડેપ્યુટી સ્પીકરના કાર્યક્ષેત્રના અતિક્રમણને મુદ્દો બનાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથે તેની અરજીની નકલ પ્રતિવાદી મહારાષ્ટ્ર સરકારને મોકલી દીધી છે. જેથી કોર્ટમાં નોટિસનો સમય બચાવી શકાય. વેકેશન બેન્ચ અને રજિસ્ટ્રાર સમક્ષ તાકીદની સુનાવણી માટે આવતીકાલે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ થવાની અપેક્ષા છે.