વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીમાં ABVPની હાર – વિજેતા ચારેય ભૂદેવ છે તે ઘણું સૂચવી જાય છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દેશ આખામાં કોરોનાનો કહેર છે. પાંચ પૈકી ૪ રાજ્યોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. એક માત્ર રાજ્ય પસ્ચિમ બંગાળમાં હજી ચાર તબક્કાનું મતદાન બાકી છે. ત્યાં પણ વડાપ્રધાન મોદીની રેલી તેમજ ગૃહમંત્રી અમીત શાહ અને યુપીને ભગવાન ભરોસે છોડી યોગી આદિત્યનાથ માસ્ક પહેર્યા વગર રોડ શો કરી રહ્યા હોવાના ફોટાઓ અખબારોમાં જાેવા મળે છે. જ્યારે વ્હીલચેરમાં બેસી ચૂંટણીપ્રચાર કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કરેલી મુસ્લિમ મતદારોને અપીલના મુદ્દે મંગળવારે ચૂંટણીપંચે તેમને પ્રચાર કરવા પર મનાઈ ફરમાવતા તેમણે કોલકત્તાના ગાંધીજીની પ્રતિમા સમક્ષ બપોરના ૧૨ થી ૮ સુધી ધરણા કર્યા હતા. ટી.એમ.સી.નો એવો આક્ષેપ છે કે મમતા બેનરજીએ જે રીતે ભાજપના નેતાઓની ફૌજ સામે પોતાની મર્યાદિત ટીમ સાથે એક વિરાંગનાની જેમ ઝઝૂમી રહ્યા છે તેથી તેમને પ્રચાર કરતાં અટકાવવાનો ખેલનો પહેલો અંક ભજવાઈ ગયો છે અને મમતા બેનરજીએ પણ ધરણા કરી પોતાની લાક્ષણિક શૈલીમાં તેનો યોગ્ય જવાબ પણ આપી દીધો છે. ફૂગાવો અને મોંઘવારી કોરોનાની જેમ જ વધી રહ્યા છે તેવે સમયે અખબારોમાં અમેરિકાના નૌકા કાફલાએ ભારતની દરિયાઈ સીમામાં ઘૂસવાની જે ચેષ્ટા કરી તે સામે ભારતના વિદેશ મંત્રાલયે માત્ર ટેકામાં શાબ્દિક વિરોધ દર્શાવીને સંતો, માન્યો છે તેવે વખતે ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં ભાજપને લાગેલા આંચકાના સમચાારો ભલે ઉત્તરપ્રદેશના અખબારોએ સારી રીતે ચમકાવ્યા છે પરંતુ ગુજરાતના એક જ અખબારે તેની નાનકડી નોંધ લીધી છે તેટલો સંતો, અવશ્ય લઈ શકાય તેમ છે.
વારાણસીમાં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયના સંચાલનમાં ભાજપના નેતાઓ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સંપૂર્ણાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય જ્યારથી શરૂ થયું ત્યારથી ત્યાં એબીવીપીનુ જ વર્ચસ્વ છે. એક બાબતમાં કહીએ તો સંપુર્ણાનંદ મહાવિદ્યાલય એ ભાજપની વિદ્યાર્થી પાંખ ગણાતી એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો ગઢ છે. દેશની યુનિવર્સિટીઓની જેમ આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પણ વિદ્યાર્થી પ્રતિનિધિઓ ચાર મહત્ત્વના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાય છે. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં એબીવીપીના ઉમેદવારો જીત્યા હતા અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. જીતી શકી નહોતી. જાે કે આ સ્વાભાવિક બાબત છે. વડાપ્રધાન પોતે આ વિસ્તારના સાંસદ હોય અને યુપીમાં તોતીંગ બહુમતીવાળી ભાજપની સરકાર લખનૌની ગાદી પર બિરાજતી હોય ત્યારે બીજા કોઈનો ગજ ક્યાંથી વાગવાનો હતો તેમાંય યુપીમાં માત્ર એક જ સંસદસભ્ય (શ્રીમતી સોનિયા ગાંધી) અને ૪૦૦માંથી આંગળીના વેઢે ગણી શકાય તેવા માત્ર ને માત્ર સાત ધારાસભ્યો (જેમાંના બે તો ભાજપના શરણે જઈ ચૂક્યા છે) હોય ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનો ગજ ક્યાંથી વાગવાનો હતો.
પરંતુ આ વખતે એવું બન્યું કે વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયની ચૂંટણી યોજાઈ. વિદ્યાર્થી પ્રતિનિધિઓના પ્રમુખ મહામંત્રી સહિતના ચાર હોદ્દાઓ માટે યોજાયેલી આ ચૂંટણીમાં એબીવીપી તો મેદાનમાં હતી જ અને આ વખતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા એટલે કે એન.એસ.યુ.આઈ.એ પણપુરી તાકાતથી ઝંપલાવ્યું હતું. બે દિવસ પહેલા મતદાન પણ થયું અને પરિણામ જાહેર થયું તો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ.ના ચારેય ઉમેદવારો સારી સરસાઈ અને નોંધપાત્ર પ્રમાણમાં મતો મેળવી ચૂંટાઈ આવ્યા. આ ચારમાંથી એપણ બેઠક ભાજપની વિદ્યાર્થી પાંખ ગણાતી એબીવીપીને ન મળી તેનો સીધો સાદો અર્થ એ થયો કે ત્યાં તેના સૂપડા સાફ થઈ ગયા. લખનૌના બે હિંદી અખબારોએ તો એબીવીપીના સૂપડા સાફ થયા અને યુપીમાં કોંગ્રેસ આઈસીયુમાંથી બહાર આવી તેવા હેડીંગો બાંધ્યા. યુપીમાં પંચાયત ચૂંટણી કોરોનાના કહેર વચ્ચે પણ યોજાઈ રહી છે ત્યારે તેમાં ભાજપ, સપા, બસપાની સાથે ચોથા કે પાંચમાં નંબરના પક્ષ ગણાતા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે તેવે સમયે વારાણસીનો વિજય યુપી કોંગ્રેસના હતાશ અને નિરાશામાં ધકેલાઈ ગયેલા કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર પૂરનારો પુરવાર થશે.
ઉત્તરપ્રદેશના હિંદી અખબારોમાં પ્રતિબદ્ધ થયેલા અહેવાલો અને ગુજરાતના એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા નાના સમાચારની વિગતો વાચતા એવું લાગે છે કે યુપીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસને બેઠી કરવા જે બીડું ઝડપ્યું છે તેમાં તેને પ્રથમ સફળતા મળી છે તેવું કહે છે કારણ કે આ વખતે સંપૂર્ણાનંદ સંસ્કૃત મહા વિદ્યાલયની આ ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ.ના તમામ ઉમેદવારોની પસંદગી પ્રિયંકા ગાંધીએ કરી હતી અને ચારેય બેઠકો પર બ્રાહ્મણ (ભૂદેવ) ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને આ ચારેય ભૂદેવો જીત્યા છે. પ્રિયંકા ગાંધીએ થોડા સમય પહેલા ગંગામાં ડૂબકી પણ મારી હતી. પૂજા પણ કરી હતી અને કોંગ્રેસ ત્યાં સોફ્ટ હિંદુત્વના માર્ગે જઈ રહી છે તેવો સંકેત આપ્યો છે. વારાણસીના વિદ્યાર્થી જગતમાં કોંગ્રેસે પોતાની વિદ્યાથી પાંખના માધ્યમથી પગપેસારો કર્યો છે. આ કાશી વિદ્યાપીઠની ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઈ.ના ઉમેદવારો જીત્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના અખબારોએ નોંધ્યું છે તે પ્રમાણે વારાણસીના પ્રાધ્યાપકો અને શિક્ષકોનો જેમાં મતદારો તરીકે સમાવેશ થાય છે તે વિધાન પરિષદની બેઠક પર પણ વિપક્ષના ઉમેદવાર જીત્યા હતા તે વાત ભૂલી જઈએ પણ વિદ્યાર્થીઓ યુવાઓના મગજમાં ભાજપ વિશે જે વધુ પડતો પ્રેમ ઉભરાઈ ગયેલો તે હવે ઓસરી રહ્યો હોવાના સંકેત મળે છે તેવી યુપીના કેટલાક અખબારોએ લીધેલી નોંધ જરાય અયોગ્ય નથી.
પ્રિયંકા ગાંધીએ હવે માત્ર અમેઠી અને રાયબરેલીના બદલે યુપીના તમામ વિસ્તારો અને તમામ સ્થળે સક્રિય રસ લઈ મૃતઃપ્રાય બનેલી કોંગ્રેસને બેઠી કરવા માટેનું જે અભિયાન સોફ્ટ હિંદુત્વ, લોકોની વચ્ચે જઈ લોકોની વેદનાને વાચા આપવા સહિતની જે કામગીરી કરી છે તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. આવતા દિવસોમાં આ નાનકડા પરિણામની યુપીના રાજકારણ પર કેવી અસર પડે છે તે જોવાનું રહે છે.