Gujarat News:હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર બંદર પર એલસી 3 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.વડોદરા તેમજ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.ગઈકાલે ભારે વરસાદ, નદીઓમાં પાણીનો વધારો અને આજે ભારે વરસાદની આગાહી બાદ, વડોદરા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. કેજીથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.સવારે 6 થી લઈ 8 વાગ્યા દરમિયાન રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.57 ઇંચ અને સૌથી ઓછો 1 મીમી વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં આ સિઝનમાં સરેરાશ 34.32 ઇંચ એટલે કે 98.85 ટકા વરસાદ પડ્યો છે.
આપને જણાવી દઈએ 5 સપ્ટેમ્બરના રોજ, સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા સીઝનમાં પહેલી વાર 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે, નર્મદાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું. નર્મદા નદીના બંને કાંઠે વહેતા ચાણોદમાં મલ્હાર રાવ ઘાટના 95 પગથિયાં પાણીમાં ડૂબી ગયા હતા. આ સાથે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોના 27 ગામોને એલર્ટ પર રાખવા પડ્યા હતા. હાલમાં, પાણીનો ઓછો પ્રવાહ હોવાથી 23 માંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પાણીનો ઓછો પ્રવાહ અને નદીમાં ઓછું પાણી છોડવામાં આવતા, વડોદરા, ભરૂચ અને નર્મદા ત્રણેય જિલ્લાઓમાંથી પૂરનો ભય ટળી ગયો છે.
નર્મદા ડેમની જળ સપાટી વધતાં 15 દરવાજા 3.10 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલ દ્વારા 3 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમનું જળસ્તર 136.14 મીટર પર પહોંચી ગયું છે. ઉપરથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશના 3 ડેમમાંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:પંજાબમાં ભય, દિલ્હીમાં પૂરનો ભય, યુપી, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી
