પ્રતાપગઢ
સોમવારે રાતે રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લામાં પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક લગ્નની જાનમાં ઘુસી જતાં ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા છે,જ્યારે અન્ય 18 ઘાયલ થયા છે.મીડીયા રિપોર્ટ પ્રમાણે આ અકસ્માતમાં દુલ્હન યુવતીનું પણ અવસાન થયું છે.અકસ્માતમાં ઘાયલ લોકોને ઉદેપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે.
એસપી અનિલ કુમાર બેનિવાલના જણાવ્યા પ્રમાણે, આ એક્સિડન્ટ છોટી સાદડી પોલીસ સ્ટેશનથી સાત કિમી દૂરના અંતરે નેશનલ હાઇવે 113 નજીક થયો હતો. ગાડોલિયા લોહાર સમાજના લોકોએ છોકરીને ઘોડી પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો. ત્યારે બાંસવાડાથી નિંબાહેડા તરફ જઇ રહેલી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા.
જાન હાઇવે ના કિનારા તરફથી નીકળી રહી હતી ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.એક્સિડન્ટ પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે 9 લોકોના મોત તો ઘટનાસ્થળે જ થઇ ગયા હતા.
ચિત્તોડગઢ જિલ્લાના આકોલામાંથી જાન આવવાની હતી. એક્સિડન્ટ થયો તેના અઢી કલાક પછી જાન ઘરે પહોંચવાની હતી પરંતુ આ ર્દુઘટનાના કારણે લગ્ન મોકુફ રાખવામાં આવ્યા અને જાન અડધે રસ્તેથી જ પરત ફરી હતી.
આ અકસ્માત નજરે જોનારા એક જાનૈયાએ કહ્યું કે અમે હાઈ-વે પર એક તરફ જ ચાલતા હતા.વરઘોડામાં 100થી 150 લોકો હતા. ગાડીઓ સરળતાથી પસાર થઈ શકે તેટલી રોડ પર જગ્યા હતા. અમે હાઈવેની એક બાજુ જ ચાલી રહ્યા હતા એટલામાં પાછળથી ખૂબ સ્પીડમાં એક ટ્રક આવી અને તેણે લોકોને કચડી નાખ્યા.