Gujarat News/ અપરાધ શૂન્ય અને 100 ટકા સાક્ષરતા, રાજકોટનું રાજ સમઢીયાળા ગામ ગાંધીજીના ગ્રામ સ્વરાજનું પ્રતીક

આઝાદી પછી, રાજકોટ (Rajkot) ના રાજ સમઢીયાળા ગામ (Raj Samadhiyala) માં ક્યારેય પંચાયતની ચૂંટણીઓ યોજાઈ નથી.

Top Stories Gujarat
Rajkot
Gujarat News: ગુજરાતના ગામડાંઓમાં જ્યાં લોકશાહી ચૂંટણીની પરંપરા સામાન્ય છે, ત્યાં રાજકોટ જિલ્લાનું રાજ સમઢીયાળા ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામમાં આઝાદી પછીથી આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. અહીંના ગ્રામજનો સહમતિ અને એકતાના આધારે સર્વાનુમતે સરપંચની પસંદગી કરે છે, જે ગામના સુશાસનનું પ્રતિક બની ગયું છે.
વિશેષ વાત એ છે કે આ ગામમાં ક્યારેય કોઈએ FIR નોંધાઇ નથી, જે ગામની શાંતિ, સામાજિક સુમેળ અને પરસ્પર વિશ્વાસને દર્શાવે છે. વિવાદો પણ ગામજનો વચ્ચે બેઠકો દ્વારા ઉકેલી લેવાય છે, જેથી કાયદાકીય પ્રક્રિયાની જરૂરિયાત ઊભી થતી નથી.
રાજ સમઢીયાળા ગામનું આ મોડેલ મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને જીવંત કરે છે, જ્યાં સ્વનિયંત્રણ, સહકાર અને સમરસતા દ્વારા વિકાસનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ ગામ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત બની શકે છે.
rajkot
આ ગામને તેની સ્વચ્છતા, પર્યાવરણીય જાગૃતિ અને સરકારી ભંડોળ અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પુરસ્કારો સહિત 11 સન્માનો મળ્યા છે. સરપંચ હરદેવસિંહ જાડેજા ચાર દાયકાથી વધુ સમયથી તેને સુધારવા માટે કાર્યરત છે.

કડક નિયમો, સંસ્કારી ગામ: ઉલ્લંઘન પર સીધો દંડ

ગામને સુધારવા અને શિસ્તબદ્ધ બનાવવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જ્યાં ગ્રામજનો દ્વારા કડક નિયમો અમલમાં મૂકાયા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક વર્તે.
rajkot
નિયમો મુજબ ખુલ્લામાં કચરો ફેંકવો, મતદાનમાં ભાગ ન લેવો, વૃક્ષો અને છોડને નુકસાન પહોંચાડવું, ગુટખા અને દારૂનું સેવન કરવું તેમજ જાહેર સ્થળોએ અપશબ્દોનો ઉપયોગ કરવો આ બધા માટે દંડ નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ સરકારી જમીન પર અતિક્રમણને પણ કડક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

લોક અદાલતથી ઉકેલાય ગામના બધા વિવાદ

ગામની વિશેષતા એ છે કે કોઈપણ વિવાદ કે ફરિયાદ માટે સીધા પોલીસ સુધી પહોંચતા પહેલાં લોક અદાલતને જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આથી ગામમાં જ મતભેદોનો નિકાલ થાય છે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે છે.
સરપંચ જાડેજાએ જણાવ્યુ કે આઝાદી બાદ ગામમાં સુમેળ જળવાઈ રહે તે માટે લોક અદાલતની સ્થાપના કરાઈ હતી, જ્યાં દરેક વિવાદ પહેલેથી જ ઉકેલવામાં આવે છે. 1983થી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકાતા મતદાન ટકાવારી 95 ટકા કરતાં વધુ રહે છે. વિકાસ કાર્યો માટે રચાયેલી સમિતિ દેખરેખ અને માર્ગદર્શન આપે છે. છોકરીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે માદક દ્રવ્યોની ખરીદી-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.

rajkot

ગામના વિશાળ અને સમતળ રસ્તાઓ, સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા, સીસીટીવી દ્વારા સતત દેખરેખ, સ્વચ્છતા અને હરિયાળી આ બધુ આ20ગામને એક આદર્શ અને મોડેલ ગામ તરીકે ઓળખ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સંસદ આદર્શ ગ્રામ યોજના શરૂ કરી હતી અને આ ગામ તે દ્રષ્ટિકોણનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

દીકરીના જન્મે વૃક્ષારોપણ: પરંપરાથી હરિયાળું બનેલું ગામ

અહીંના નાગરિકોની જાગૃતિના કારણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જોવા મળે છે. વિદ્યાર્થિનીઓ માટે વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ, સલામત માહોલ અને સંઘર્ષમુક્ત સમાજ ઉપલબ્ધ હોવાથી તેઓ સંતોષ અનુભવે છે. દીકરીના જન્મ સમયે વૃક્ષારોપણ કરવાની પરંપરા પણ અહીં વિશેષ ઓળખ ધરાવે છે.

ચાર દાયકાં પહેલા જ્યાં આશરે 5,000 વૃક્ષો હતા, ત્યાં આજે હરિયાળીનો વ્યાપ વધીને લગભગ 65,000 વૃક્ષો સુધી પહોંચી ગયો છે. ગામમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં વધુ હોવું પણ એક નોંધપાત્ર સામાજિક વિશેષતા છે.

કચરાથી ખાતર સુધી: ગામનો સ્માર્ટ મેનેજમેન્ટ મોડેલ

ગામે કચરા અને પાણી વ્યવસ્થાપનમાં નવી દિશા અપનાવી છે. સૂકા-ભીના કચરાનું અલગ સંગ્રહ કરી ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસ કરવામાં આવે છે, જ્યાંથી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને મફતમાં આપવામાં આવે છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરી ખેતી અને બાંધકામમાં ફરી ઉપયોગ કરવામાં આવે છે, જે પાણી સંરક્ષણનો ઉત્તમ મોડેલ છે.

rajkot

ઔદ્યોગિક વિકાસથી CSR ફંડિંગ મળતા ગામના યુવાનોને રોજગારી મળી રહી છે. સાથે જ, સરકારી બજેટના સ્માર્ટ ઉપયોગથી ગામનો લેન્ડસ્કેપ બદલાઈ ગયો છે અને વિકાસને નવી ગતિ મળી છે.

દંડ અને નિયમોથી વિકસતું આદર્શ ગામ

આ ગામમા કોઈ નેતા પ્રચાર માટે આવતા નથી, ન ધ્વજ-બેનરો દેખાય છે કે ન ચૂંટણી સભાઓ યોજાય છે. નિયમોના ઉલ્લંઘન બદલ 51 થી 251 રૂપિયા સુધીનો દંડ છે, જ્યારે વૃક્ષોને નુકસાન કે અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિઓ માટે 501 રૂપિયા સુધીની સજા થાય છે.
બહારના ફેરિયાઓને પણ પરવાનગી વગર વેચાણ કરવાની મંજૂરી નથી. સામાજિક કાર્યક્રમોમાં નાચ-ગાન, ફટાકડા અને લાઉડ મ્યુઝિક પર પ્રતિબંધ છે, જ્યારે માતા-પિતાની સંભાળને ફરજિયાત માનવામાં આવે છે.

રાજકોટના આદર્શ ગામ રાજ સમઢિયાળાની આ સફળતા પાછળ ગ્રામજનો સાથે ગામના વડા હરદેવસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે નોકરી છોડી ગામસેવામાં પોતાને સમર્પિત કર્યા અને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે પોતાની જમીન દાનમાં આપી, જ્યાં જિલ્લા અને રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટ યોજાય છે.


આ પણ વાંચો : રાજકોટમાં મનપા ચૂંટણીઃ ભાજપનુ સંકલ્પ પત્ર જાહેર

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ! ફરી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આ પણ વાંચો : સુરત મનપાની ચૂંટણીઃ ભાજપે રજૂ કર્યુ સંકલ્પ પત્ર