Ahmedabad News: રામકૃષ્ણ પરમહંસ (Ramkrishna Paramhans) અને વિવેકાનંદજી (Vivekanandaji)ના વિચારોએ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વને ભક્તિ અને શ્રેષ્ઠ જીવનની ઉચ્ચતમ વિચારધારા આપી છે. આ વિચારોનો પ્રચાર અને પ્રસાર માટે દેશભરમાં ઠેરઠેર રામકૃષ્ણ મઠ આવેલા છે. હવે અમદાવાદ નજીક સાણંદ તાલુકાના લેખંબા ગામે વધુ એક મઠના ફેઝ-1નો ઉદઘાટન સમારોહ તા. 8મીથી 10મી ડિસેમ્બર દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે અને ત્યારબાદ તુરત જ ફેઝ-2ની કામગીરી શરૂ થનાર છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લેખંબા ગામે વિશાળ જમીનમાં ભવ્ય રામકૃષ્ણ મઠ (Rackrishna Math)નું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જેના પહેલા ફેઝનો ત્રિદિવસીય ઉદઘાટન સમારોહ તા.8થી 10 ડિસેમ્બર દરમિયાન લેખંબા ખાતે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે. તા.9મીએ નવનિર્મિત પ્રાર્થના ખંડ, સાધુનિવાસ, ભોજનખંડ વગેરે સુવિધાઓનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેલુર મઠના પરમાધ્યક્ષ સ્વામિ ગૌતમાનંદજીના હસ્તે થશે.

અમદાવાદ મઠના અધ્યક્ષ સ્વામિ પ્રભુસેવાનંદે વધુમાં જણાવ્યું છે કે રામકૃષ્ણ મઠના નિર્માણની કામગીરી હાલ 83 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી છે. બીજા તબક્કામાં શ્રી રામકૃષ્ણદેવનું જાહેર મંદિર, વિદ્યાર્થીઓને રહેવા છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, સભાગૃહ, ચેરિટેબલ ડિસ્પેન્સરી, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, યાત્રીનિવાસ, વિવેકાનંદ થીમ પાર્કનું આયોજન હાથ ધરાનાર છે.

ત્રિદિવસીય કાર્યક્રમની વિગતો એવી છે કે 8મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સ્વામિ ગૌતમાનંદજીનું આગમન થશે. બપોરના સ્વામિ વિનિમુર્કાનંદજી અને ગુજરાતના જાણીતા ભજનિક નિરંજન પંડ્યાનું ભક્તિસંગીત યોજાશે.

રાતના દાંડિયા રાસ અને ગરબાનુંઆયોજન કરાયું છે. 9મીએ સવારે પાંચ વાગે પ્રભાતફેરી બાદ શોભાયાત્રા અને 7-15 વાગે મુખ્ય ઉદઘાટનનો કાર્યક્રમ યોજાશે. 9થી 10 હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અને ત્યારબાદ 10થી 12 ધર્મસભા યોજાશે.

બપોરના સત્રમાં ભક્તિગીતો, શિવતાંડવ, સાઇના રાસગરબા, શ્રી સાંઇરામ દવેની સાહિત્ય સભા, સંધ્યા-આરતીના કાર્યક્રમો યોજાશે. તા. 10મીએ સવારના રામચરિત માનસ, શ્રીમદ ભાગવતકથા વગેરે કાર્યક્રમો યોજાશે. તમામ કાર્યક્રમોમાં રાજ્ય તેમજ દેશભરમાંથી અગ્રણી નાગરિકો, રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજીમાં માનનારા મહાનુભાવો, પ્રખર વક્તાઓ અને રસ ધરાવતા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: મોદીને રાજકારણમાં જવા પ્રેરિત કરનારા સ્વામી આત્માસ્થાનંદનું રવિવારે થયું નિધન
આ પણ વાંચો: સાણંદમાં સ્વામી સત્યમિત્રાનંદગિરિ મહારાજની પુણ્યતિથી ઉજવાઈ
આ પણ વાંચો: કોલકાતા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ તરીકે ઓળખાશે : પીએમ મોદી
