સીતા ધરતીમાં સમાઈ ગયાં પછી રામને લાગ્યું કે ધરતી પરનું એમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હોવાથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો છે. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે.
હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું. હનુમાનજી ગયા એટલે રામે યમને બોલાવ્યા. યમે એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત રહેવી જોઈએ. જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો. આથી રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું. કોઈ પણ એમની અને યમ વચ્ચેની વાતચીતમાં અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું.
દરમ્યાનમાં દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે એમને મળવા ન દીધા. એમણે ચેતવણી આપી કે જો રામને મળવા નહીં દે તો એ અયોધ્યાને શ્રાપ આપી દેશે. દુર્વાસાના ક્રોધથી તો સૌ ડરે. આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે રામ સાથે જઈને આ વાત કરવી જોઈએ.
આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો. રઘુકુળની તો એવી પરંપરા છે કે પ્રાણના ભોગે પણ વચન પાલન કરવું જ. રામે યમને એવું વચન આપ્યું હતું કે એમના વચ્ચેની વાતચીતમાં કોઈ અવરોધ કરશે તો એનો વધ કરશે. આથી રામે આપેલા વચનનો અમલ કરવા લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કર્યો.
રામ પહેલાં લક્ષ્મણનો દેહાંત થાય એ જરૂરી હતું કારણકે લક્ષ્મણ શેષનાગના અવતાર ગણાય છે આથી એમણે વિષ્ણુની સેવા કરવા વિષ્ણુના અવતાર રામ કરતાં પહેલાં વૈકુંઠમાં પહોંચવું પડે.
રામનો દેહાંત
લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઇ ગયો હતો.રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું.
હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાને રામની વીંટી વિષે પૂછ્યું. નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી. રામની આટલી બધી વીંટીઓ જોઇને હનુમાનજી તો ડઘાઈ જ ગયા.
નાગરાજાએ હનુમાનજીને કહ્યું કે કાળચક્રમાં જયારે પણ ભગવાન વિષ્ણુના અવતાર રામનું અવતાર કાર્ય પૂરું થાય અને એમના દેહાંતનો સમય આવે ત્યારે તેઓ એમની વીંટી આવી રીતે પાતાળમાં નાંખે છે. જેથી રામના પરમ ભક્ત હનુમાનનું ધ્યાન બીજે દોરવાઈ જાય. આથી હનુમાનજી સમજી ગયા કે રામે વૈકુંઠ પાછા જવા માટે પોતાની સાથે આવી યુક્તિ કરી છે.