દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે. પરંતુ જે રીતે નેતાઓ પોતાના ભાષણમાં રામ નામ લઇ રહ્યા છે રામાયણ, મહાભારતની ઘટનાને, તેના પાત્રોને વચ્ચે લાવી રહ્યા છે તે જોતા હવે આ ચુંટણી દરેક પક્ષ માટે જાણે નાકની લડાઇ હોય તે સ્પષ્ટ છે. કોઇને દુષ્ટ, સ્વાર્થી બતાવવા માટે જે શબ્દોનો પ્રયોગ આપણે કરતા આવ્યા છીએ તે શબ્દોનો હવે લોકસભાની ચુંટણીમાં જોરોસોરથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પક્ષ-વિપક્ષ બંન્ને એકબીજાને નીચા બતાવવા માટે આ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.
ચુંટણીમાં સત્તા પક્ષ પોતાની પાંચ વર્ષમાં કરેલી ઉપલબ્ધીઓને બતાવે છે પરંતુ જ્યારે તેનાથી વિપરીત કોઇ અલગ જ મુદ્દાઓ પર ચર્ચાઓ થાય કે ભાષણ કરવામાં આવે ત્યારે આવા શબ્દોનું નિકળવુ સ્વાભાવિક છે. સત્તાપક્ષની વાત કરવામાં આવે તો તેણે વિપક્ષ પર આરોપ લગાવ્યો છે કે, વિપક્ષનાં નેતાઓ પીએમ મોદીને ગાળો બોલવામાં અર્ધશતક બનાવી ચુક્યા છે. આ સંબંધમાં બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરંન્સ કરી હતી. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી પાસે રાજીવ ગાંધીનાં કરપ્શનનો કોઇ જવાબ નથી. તે ગાળો સાથે જ જવાબ આપી રહી છે. આ સાથે તેમણે બોલવામાં આવેલી ગાળોનું લિસ્ટ મીડિયા સમક્ષ રજૂ કર્યુ.
લોકસભાની ચુંટણીમાં રામાયણ અને મહાભારત
લોકસભાની ચુંટણીમાં રામાયણ અને મહાભારતનાં પાત્ર મુજબ અન્ય નેતાઓને ફીટ કરવામાં આવી રહ્યા છે. જો કે આવા શબ્દોની શરૂઆત ક્યારે થઇ એ કહેવુ થોડુ મુશ્કિલ છે, પરંતુ અંતમાં લાલુ પ્રસાદ યાદવની પત્નિ અને આરજેડીની નેતા રાબડી દેવી દ્વારા પીએમ મોદીને જલ્લાદ કહેવામાં આવ્યા હતા. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પીએમ મોદીએ ભ્રષ્ટાચારી નંબર વન બતાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીની તુલના દુર્યોધન સાથે કરી દીધી હતી.
જેડીયુ પ્રવક્તાએ મીસાને બતાવી રાવણની બહેન
બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડીનાં નેતા તેજસ્વી યાદવની બહેન મીસા ભારતીને પણ રામાયણનાં એક પાત્ર સાથે સરખાવવામાં આવી હતી. જેડીયુ પ્રવક્તા સંજય સિંહએ મીસા ભારતીને રાવણની બહેન શુર્પણખા સાથે સરખાવી હતી. સાથે તેમણે કહ્યુ હતુ કે, મીસા તેના બંન્ને ભાઇઓની લડાઇમાં આગમાં ઘી હોમવાનું કામ કરે છે.