અષાઢી બીજને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું. ભગવાનનું મામેરું ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. દૂર-દૂર થી ભાવિક ભક્તો મામેરાનાં દર્શન માટે આવ્યા હતા.
- સુભદ્રાજીને પાર્વતી શ્રીંગાર
- લીલા, કેસરી અને વાદળી રંગના તૈયાર કર્યા વાઘા
રથયાત્રાના દિવસે ભગવાન મોસાળ પધારે ત્યારે મોસાળિયાઓ દ્વારા ભગવાનને મામેરું કરવામાં આવતું હોય છે. પરંતુ તે દિવસે મોસાળવાસીઓ લોકોની આગતા સ્વાગતામાં વ્યસ્ત હોવાંથી મામેરાના દર્શન કરી શકતા નથી. જેથી અગિયારસના દિવસે ભગવાનના મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવે છે. ભગવાનને મામેરામાં વાઘા–સોનાનો ઢોળ ચઢાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચુની, વીંટી, ચાંદીની પાયલ-કંદોરો આપવામાં આવ્યો.
આ વર્ષે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મામેરાના વાઘામાં 5 રંગ લીલો, લાલ, કેસરી, વાદળી અને પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે. વાઘાનું કાપડ સુરતથી લાવી તેમાં કચ્છીવર્ક, જરીવર્ક, એમ્બ્રોઇડરી મોતીવર્ક, સ્ટોન વર્ક કરીને રજવાડી વાઘા તૈયાર કરાયાં છે. વાઘા બનાવવા માટે 60 થી 70 મીટર કાપડનો ઉપયોગ કરાયો છે. તો આ વર્ષે ભગવાનના ઘરેણાં રજવાડી સ્ટાઇલના છે. સાથેજ સોના-ચાંદીના દાગીના પણ તૈયાર કરાયા છે.
શહેરના જોધપુર વિસ્તારમાં રેહતા મહેશ ભાઈ ઠાકોરને 50 વર્ષની રાહ જોયા બાદ મામેરું કરવાનો લ્હાવો મળ્યો છે. ત્યારે મામેરામાં કોઈ પણ કચાસ ન રહે તેનું ધ્યાન ઠાકોર પરિવારે રાખ્યું છે. ઠાકોર સમાજ માંથી કોઈને મામેરું કરવાનો લ્હાવો મળ્યો હોય તે આ પેહલી વાર બન્યું છે.