Gandhinagar News: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે , રાજ્યની ૧૩ GMERS કોલેજની ૨૧૦૦ બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે.
આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડા ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા અંગે પણ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે ૧૦ થી ૧૫ ગણો વધારો થશે.
ઋષિકેશ પટેલે આપી વધુ માહિતી
મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે ગવર્નમેન્ટ ક્વોટામાં માં પ્રવર્તમાન રૂ.૫.૫૦ લાખ ફી માંથી ઘટાડીને રુ.૩.૭૫ લાખ એટલે કે અંદાજીત ૮૦% અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ.૧૭ લાખ ફી માંથી ઘટાડો કરીને રૂ. ૧૨ લાખ એટલે કે અંદાજીત ૬૨.૫ %નો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન ફી નું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ લાગુ પડશે.
આ બેઠકમાં મેડિકલ ક્ષેત્રને લગતો એક મહત્વનો નિર્ણય લેવાયો. અગાઉ PMJAYના કુલ લાભાર્થીઓમાં ફક્ત SECC (BPL યાદી વાળા) લાભાર્થી પેટે થતી આવક જ ઇન્સેન્ટીવ માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી હવે ઇન્સેન્ટીવ આપવા માટે PMJAYની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના ૨૫ % શેયર થશે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલોમાં શેયર ૩૫ % રહેશે, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર ૪૦ % થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં PMJAY અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેઈમના ૧૮ ટકા ક્લેઈમ સરકારી હોસ્પિટલમાં થાય છે. આ ક્લેઈમની સંખ્યાને વધારીને એક વર્ષમાં ૨૫ ટકા અને બે વર્ષમાં ૩૦ ટકા ઉપર લઇ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સોની વેપારીને ધોળે દહાડે ગોળી મારી લૂંટી લેવાયો
આ પણ વાંચો: ઉધઇ ગ્રસ્ત શિક્ષણથી વિકસિત ભારત ના બની શકે’, ભાજપ નેતાના જ શિક્ષણ મુદ્દે વેધક સવાલો
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં