૧૯૫૨ બાદ બંગાળમાં માત્ર છ જ મુખ્યમંત્રીઓએ રાજ કર્યું છે. પી.સી.રોયથી મમતા બેનરજી સુધીના મુખ્યમંત્રીઓની વાત
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
નેતાજી સુભાષચંદ્ર બોઝ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર સહિત અનેક મહાપુરૂષોની ક્રાંતિકારી વિચારધારાવાળી ભૂમિ પશ્ચિમ બંગાળે આખરે ટીએમસીની સરકારને સતત ત્રીજી વખત અને તે પણ ૨૦૦થી વધુ બેઠકોથી વિજયી બનાવીને નવો ઈતિહાસ સર્જી દીધો છે. જાે કે પોતાનો ભવાનીપુરનો ગઢ જેવો વિસ્તાર છોડી નંદીગ્રામમાં ચૂંટણી લડવાનો પડકાર ઝીલવા જનાર ટીએમસીના સુપ્રિમો અને મુખ્યમંત્રી મમતા બેનરજીનો તે બેઠક પર તેમના જ જૂના સાથીદાર સુવેન્દુ અધિકારી સામે પરાજય થયો છે. પરાજય સાંકડો છે.
માત્ર ૧૯૦૦ કરતા વધુ મતે તેમની હાર થઈ છે. અને નંદીગ્રામનો ફેંસલો તેમણે સ્વીકારી લીધો છે. જાે કે બેતૃતિયાંશ બહુમતી હોવાના કારણે ત્રીજીવખત તેમની તાજપોશી હવે નિશ્ચિત છે. પણ છ માસમાં પેટા ચૂંટણી લડીને ધારાસભ્ય બનવું પડશે. મમતા બેનરજીએ વનમેન આર્મીની જેમ કેન્દ્રમાંથી ઉતરી પડેલી ફોજ સામે જે રીતે લડત આપી તેના કારણે તે વધુ એકવાર રાજકારણના એક લોકપ્રિય પાત્ર પુરવાર થયા છે. પોતાના વિરોધીઓ જે ભાષામાં જવાબ માગે તે ભાષામાં આપવા ટેવાયેલા આ નેતાએ જરાય પાછીપાની કરી નથી.
વિશ્લેષકો નોંધે છે તે પ્રમાણે મુખ્યમંત્રી બનનારને ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે પેટા ચૂંટણી લડવી પડે તે પ્રથમ બનાવ નથી. આપણા દેશમાં પેહેલેથી આ પ્રથા ચાલે છે. બંધારણમાં પણ એવી સ્પષ્ટ જાેગવાઈ છે કે કોઈપણ વ્યક્તિ સંસદ સભ્ય ન હોય તો પણ વડાપ્રધાન બની શકે છે. ભારતમાં પી.વી. નરસિંહરાવ કે જેઓ રાજીવ ગાંધીના આકસ્મિક નિધન બાદ વડાપ્રધાન બન્યા હતા. તેમને પણ પેટાચૂંટણી લડવી પડી હતી. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વખતે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય નહોતા. તેઓ પહેલા મુખ્યમંત્રી બન્યા અને પછી રાજકોટ-૨ની કર્ણાટકના હાલના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરી આપ્યા બાદ ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જ્યારે ૨૦૧૬માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદના અનેક દાવેદારો હતા તેમાંથી ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ તેમને પણ મુખ્યમંત્રી બન્યા પછી વિધાન પરિષદમાં સ્થાન મેળવવું પડ્યું હતું. જાે કે તેમના બે નાયબ પ્રધાનોને પણ વિધાનપરિષદમાં ચૂંટાવું પડ્યું હતું. ગુજરાતમાં ૧૯૭૨માં તે વખતના શાસક કોંગ્રેસની ભારે બહુમતી બાદ તત્કાલીન કેન્દ્રીય મંત્રી ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમને પણ તે વખતે દહેગામ બેઠક પરથી ચૂંટણી ધારાસભ્ય બની બંધારણના નિયમોનું પાલન કરવું પડ્યું હતું. ભૂતકાળમાં ગોવામાં પણ કોંગ્રેસ જીતી પણ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર ચૂંટણીમાં હારી ગયા હતા. હવે બીજી વખત મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પદના દાવેદાર કે જેમના નામે અને જેમના નેતૃત્વ હેઠળ તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી લડી છે તે મમતા બેનરજી તે પોતાની બેઠક નંદીગ્રામ પરથી હારી ગયા છે પણ પક્ષને ૨૧૪ બેઠકો જીતાડી સત્તા અપાવી છે.
બંગાળ એક એવું રાજ્ય છે કે જ્યાં એકના એક ચહેરા લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદે રહ્યા છે. ૧૯૫૨ થી ૧૯૬૭ સુધી સતત ૧૫ વર્ષ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું શાસન હતું. પી.સી. રોય મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૭માં વિપક્ષી સંયુક્ત મોરચાના અજય મુખરજી એક ટર્મ પૂરતા મુખ્યમંત્રી હતા. ૧૯૭૨માં ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની શાસક કોંગ્રેસ બંગાળમાં જીતી હતી અને કેન્દ્રીય મંત્રી એવા સિધ્ધાર્થ શંકરરે મુખ્યમંત્રી બન્યા જાે કે તેમનું શાસન માત્ર એક ટર્મ પૂરતું એટલે કે પાંચ વર્ષ માટે જ રહ્યું હતું.
૧૯૭૭માં પ૩થમવાર બંગાળમાં ડાબેરી મોરચાનું શાસન આવ્યું અને જ્યોતિ બાસુ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ લડાયેલી ૧૯૮૨, ૧૯૮૭, ૧૯૯૨, ૧૯૯૭, ૨૦૦૨ અને ૨૦૦૭ની ચૂંટણી ડાબેરી મોરચાએ જીતી હતી. આ ડાબેરી મોરચામાં સીપીઆઈ એમ મુખ્ય પક્ષ હતો અને જ્યારે સીપીઆઈ, આરપીઆઈ ફોરવર્ડ બ્લોક સહિતના ૬ નાના પક્ષો તેમની સાથે હતા. ૨૦૦૬ બાદ જ્યોતિ બાસુનું અવસાન થતા બુધ્ધદેવ ભટ્ટાચાર્ય મુખ્યમંત્રી બન્યા હતા હવે ૨૦૦૭ સહિતની જેટલી ચૂંટણી ડાબેરી મોરચો જીત્યો તેમાં ૨૦૦ કરતા વધુ બેઠક મેળવી હતી.
૨૦૧૧માં મમતા બેનરજીના પક્ષ ટીએમસી પ્રથમવાર કોંગ્રેસ સાથે જાેડાણ કરી મેદાનમાં ઉતરી અને ટીએમસીએ ૧૮૪ બેઠકો સાથે કોંગ્રેસના સહયોગથી સત્તા સંભાળી હતી. પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૧૬માં યોજાયેલી ચૂંટણીમાં ટીએમસીએ એકલે હાથે ચૂંટણી લડીને ૨૧૧ બેઠકો મેળવી હતી. જ્યારે આ વખતે એટલે કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી સામે સૌથી મોટો પડકાર હતો કારણ કે તેના પક્ષના ઘણા પાયાના પથ્થર સમાન અને જનાધાર ધરહાવતા આગેવાનો ભાજપમાં જઈ ચૂક્યા હતા. અને કેન્દ્રના સત્તાધારી પક્ષ ભાજપ પોતાની પૂરી તાકાત સાથે અને બંગાળમાં ૨૦૦થી વધુ બેઠકો મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અંદાજે ૨૦ જેટલી રેલીઓ સંબોધી વડાપ્રધાન તરીકે એક જ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ રેલી – સભા સંબોધવાનો વિક્રમ સર્જી દીધો હતો. આ રીતે બંગાળમાં ભાજપની સત્તા લાવવા ૨૦૧૬થી મહેનત કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ ૫૦ જેટલી રેલી સંબોધી હતી. રોડ શો કર્યા હતા અને ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં તો ડોર ટુ ડોર કેમ્પેઈન પણ કર્યું હતું. આમ છતાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી મેદાન મારી ગયા છે. ભલે પોતે નંદીગ્રામની હાઈપ્રોફાઈલ ગણાતી બેઠક પર વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોય પરંતુ પક્ષને ૨૦૦થી વધુ બેઠકો જીતાડી છે. બે બેઠકોની ચૂંટણી ઉમેદવારોના નિધનના લીધે હવે પછી યોજાવાની છે એટલે તેમાંની એક બેઠક પરથી ચૂંટણી લડી મમતા બેનરજી વિધાનસભામાં પ્રવેશી શકે તેમ છે. જાે કે એક અહેવાલ પ્રમાણે તેમની જૂની ભવાનીપૂરમની બેઠક પરથી ચૂંટણી જીતેલા ટીએમસીના ધારાસભ્યે બેઠક ખાલી કરી દેવાની ઓફર પણ કરી છે જાે કે મમતા દીદીએ હમણા તેને રોક્યા છે.
પશ્ચિમ બંગાળમાં જ્યોતિબસુની આગેવાની હેઠળ ૧૯૭૭થી ૨૦૦૬ સુધીમાં જે ચૂંટણી લડાઈ તેમાં ડાબેરી મોરચાએ ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનો સીલસીલો સાત ચૂંટણી સુધી જાળવી રાખ્યો હતો. જ્યારે ૨૦૧૧માં પ્રથમ વખત મમતા બેનરજી મેદાનમાં આવ્યા ત્યારે તેઓ ૧૮૪ બેઠકો જીત્યા હતા જાે કે કોંગ્રેસે સાથે રહીને લડેલી બેઠકો ગણો તો તેનો સરવાળો વધી જતો હતો તે પણ હકીકત છે. જ્યારે ૨૦૧૬ની ચૂંટણીમાં પણ મમતા બેનરજીના પક્ષે એકલા હાથે ચૂંટણી લડી ૨૧૧ જેટલી બેઠકો જીતી હતી. આ વખતે જબરદસ્ત પડકાર વચ્ચે આ વિજય મેળવ્યો છે. ૨૦૧૧ અને ૨૦૧૬ની ચૂંટણીમાં તેમની મુખ્ય સ્પર્ધા અનુક્રમે ડાબેરી મોરચા તેમજ ડાબેરી કોંગ્રેસના જાેડાણ સાથે હતી. જ્યારે આ વખતે ડાબેરી મોરચો ગૌણ હતો અને ટીએમસી અને ભાજપ વચ્ચે જ સીધી સ્પર્ધા જેવું ચિત્ર હતું અને ભાજપે છેલ્લા તબક્કાના મતદાન સુધી ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનો દાવો ચાલુ રાખ્યો હતો. જાેકે બીજી મેએ પરિણામો જાહેર થતા મમતા દીદીના પક્ષે બહુમતી મેળવીને આ દાવો સાચો પુરવાર કર્યો છે અને ભાજપના બદલે ટીએમસીએ ૨૦૦ પ્લસ બેઠકો મેળવી છે. અને જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ગણતરી અને ગણિત પ્રમાણે ભાજપને કરતા ઓછી બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો છે જાેકે ભલે મમતા દીદી નંદીગ્રામમાં હાર્યા હોય પણ નંદીગ્રામ આસપાસના વિસ્તારમાં આવેલી ૧૦ પૈકી ૮ બેઠકો ટીએમસીના ફાળે ગઈ છે આમ બંગાળમાં ૨૦૦ બેઠકોના ઈતિહાસ સર્જવાનો દોર ચાલુ રહ્યો છે.