Khedbrahma News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા હેઠળ આવતા પોશિના તાલુકાના ખેડવા અને પઢારાના રહીશોને નળ સે જળ યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં લોકોને પીવાનું પાણી મળ્યુ નથી. આમ છતાં સ્થાનિક પંચાયત રહીશો પાસેથી પાણી વેરો ઉઘરાવી રહ્યુ હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે.
તેમણે આ બાબતે અનેક ઠેકાણે રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી થઈ ન હોવાની દલીલ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુપાર ચૌધરીએ મંગળવારે હિંમતનગર ખાતે પત્રકારો સાથેની બેઠકમાં જણાવ્યુ હતુ કે થોડાક સમય અગાઉ પછાત વિસ્તારમાં આવતા અનેક ગામોના લોકોને નલ સે જળ યોજના હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાઈપ લાઈનો નાખી છે અને ઘર સુધી પાણી મળે તે માટે નળ કનેકશન પણ આપી દીધા જ છે, પણ હકીકત એ છે કે નળ સે જળ યોજના સરકારના ચોપડે પૂર્ણ થઈ ગઈ છે અને લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે.
જ્યારે વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. ખેડવા અને પઢારા ગામની પરિસ્થિતિ જ બતાવે છે કે વાસ્તવિકતા શું છે. ધારાસભ્યએ લીધેલી મુલાકાત દરમિયાન ગ્રામજનોએ રોષપૂર્વક આ યોજના નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે. એટવુ જ નહીં ખેડવા, પઢારા ગામોનો નલ સે જળ યોજનામાં સમાવેશ કરાયો હોવા છતાં ગ્રામજનોએ તેમના ઘર આગળના નળમાં પાણી જોયું નથી.
ધારાસભ્યએ આ સંદર્ભમાં પાણી પુરવઠા વિભાગ તથા સરકાર સંલગ્ન વિભાગમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ભ્રષ્ટાચાર કરનારાઓ સામે પગલાં લેવામાં તંત્ર અને સરકાર નિષ્ફળ ગયા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હજારથી વધુ કર્મચારીઓ સામે પગલાં લેવા પડે તેમ છે.
આ પણ વાંચો: નલ સે જલ યોજનાની કામગીરી અધૂરી! મહિલાઓ આજે પણ કુવામાંથી પાણી ભરવા મજબૂર
આ પણ વાંચો: ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત રાજ્યનાં ૯૬.૫૦ ટકા ઘરોમાં નળ જોડાણ સંપન્ન
આ પણ વાંચો: વિશ્વ જળ દિવસ પર PM મોદીએ કહ્યું- ‘લોકોની ભાગીદારીથી ઘરે-ઘરે નળથી પાણી પહોંચાડવાનો સંકલ્પ થશે સાકાર ‘
