બોરસદ શહેરી વિસ્તારમાં ગત રોજ 13ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જે હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. આ વિસ્તારમાં મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સમય ટ્રેક્ટર માં તેમની સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિતના લોકો જોડાયા હતા.
મંત્રીએ વન તળાવ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય જેથી ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેમ છતાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ તકે બોરસદ પ્રાંત અધિકારીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત ક્લોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું. મંત્રીએ તેમની મુલાકાત પહેલા બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ગતરોજ થયેલ ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો મેળવી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા.
આ પણ વાંચો:રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ