“તાઉતે” વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં થયેલી છે તે ગામો ખાતે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને મોકલી વહેલી તકે રાબેતામુજબ જીવન ચક્ર શરૂ થાય તેવા ઉદેશ્યથી અગાઉ ઉના ખાતે ટીમ મોકલ્યા બાદ ગઈકાલે રાજુલા ખાતે પણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ મોકલવામાં આવેલ છે. ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સાધન-સામગ્રી સાથે રાજુલા મોકલવામાં આવેલ છે. અને આજે વહેલી સવારથી જ તે ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
અગાઉ ૧૦૦ સફાઈ કામદારો, ૨ JCB, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર અને ઓપરેટર સહીતનો કાફલો ઉના મોકલેલ જે પૈકી સફાઈ કર્મચારીઓ, ૨ ટ્રી કટર અને ઓપરેટર ગઈકાલે પરત આવેલ છે હાલ ૨ JCB અને ૨ ડમ્પર ઉના ખાતે કાર્યરત છે.અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા “તાઉતે” વાવાઝોડાએ ગુજરાતના ઘણા શહેરોને સારી પેઠે ધમરોળી નાખ્યું છે, આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દરેક કટીબધ્ધ છે.
હાલ ૪૫ સફાઈ કર્મચારીઓ, ૨ સુપરવાઈઝર, ૧ એસ.આઈ. અને ૨ એસ.એસ.આઈ., સાધન સામગ્રી સાથે રાજુલા ખાતે મોકલવામાં આવેલ છે, વાવાઝોડાને લીધે અસરગ્રસ્તો વિસ્તારો વહેલી તકે બેઠા થાય તે માટે ઝડપી કામગીરી કરતા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે.